Mysamachar.in-ગાંધીનગર:
કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શિક્ષકો, પ્રોફેસરો અને નોન ટીચીંગ સ્ટાફે નોકરીએ જવું પડશે.તો બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.તેમજ સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. સમીક્ષા બેઠક બાદ મીડિયા ને માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.
રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જ્યારે હાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ સિનેમાઘરો, સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે રૂ.500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા પણ અનુરોધ કર્યો છે.