Mysamachar.in-જામનગર
જામનગરની પાંચ સહકારી બેંકોનો આત્મનિર્ભર યોજના હેઠળ 1 લાખની મર્યાદામાં લોન આપવાની જવાબદારી આપ્યા બાદ માત્ર બેંકોએ મર્યાદીત સંખ્યામાં ફોર્મ છાપીને વિતરણ શરૂ કરાયુ છે, ત્યારે બે બેંકોએ RBI ની મંજુરી માંગી છે, અને એક બેંકની લોન આપવાની સ્થિતિ નથી તો સિકયુરીટી વગર લોન નહી મળે તેવા સવાલો વચ્ચે સરકારની આત્મનિર્ભર લોનનું ગતકડુ સહકારી બેંકો માટે મુસીબત બની ગયુ હોવાનો માહોલ સર્જાયો છે જોકે 600 અરજીઓ સામે 300 જેટલીમા લોન મળી છે,
એકાદ બે સહકારી બેંકએ જણાવ્યુ હતું કે, બે હજાર ફોર્મ વિતરણ કર્યા છે અને અમારી સભ્ય સંખ્યાના 20 ટકા લેખે મોટાભાગના સભ્યોને લોન આપી દીધી છે ત્યારે RBI પાસે પત્ર લખીને વધુ નોમીનલ સભ્ય બનાવવાની મંજુરી માંગી છે. અમારી બેંક મર્યાદીત ધંધાર્થીઓને લોન આપી શકે તેવી ક્ષમતા છે જ્યારે અમુક બેંકના સુત્રોના જણાવ્યા મુજબ અમારી પાસે સભ્ય સંખ્યા પુરી હોવાથી, વધુ નોમીનલ સભ્ય બનાવવા માટે RBI પાસે મંજુરી માંગી છે.
વધુમાં જામનગરની અમુક સહકારી બેંકની સ્થિતિ સધ્ધર હોવાથી આત્મનિર્ભર માટે લોન આપવા સક્ષમ છે અને નોમિનલ સભ્ય ફી 251 રાખેલ છે અને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ છે. વળી અમુક સહકારી બેંક હાલ જુની ખોટમાંથી ધીમે-ધીમે બહાર આવે છે, અને 16વર્ષથી RBIની ગાઇડલાઇન સુપરવાઇઝરી ડીવીઝનનો નિયમ હોવાથી તેમના શેર હોલ્ડરોને પણ લોન આપી શકતી નથી આથી સરકારની આત્મનિર્ભર લોન માટે RBIના નિયમ મુજબ 1 લાખની લોન સામે ફરજીયાત સિકયુરીટી લઇને લોન આપવાની મજબુરી દેખાડી છે,
જ્યારે જામનગરની ખેડૂતોને ધીરાણ કરતી બેંક ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવના આગેવાનોની બેઠક બાદ આત્મનિર્ભર માટે લોન આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિશામા કાર્યવાહી ચાલે છે, આમ જામનગર શહેરની પાંચ સહકારી બેંકોમાંથી આત્મનિર્ભર લોન માટે હજુ સુધી કસોકસ સ્થિતિ છે તેમજ બેંકોએ સભ્ય સંખ્યા પુરી હોવાથી RBIની મંજુરી માંગી છે તેમજ બેંકમાં ધીરાણના પ્રશ્ર્નો હોવાથી આત્મનિર્ભર લોન માટે સહકારી ક્ષેત્રની બેંકો મુશ્કેલી પડતી હોવાથી સરકારની આ યોજનાથી ધંધાર્થીઓ એ હજુય થોડીઘણી પરેશાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.
-લોન ધારક સાથે જામીનદારોને પણ સભ્ય બનાવવાનો પ્રશ્ન
જામનગર સહકારી બેંકો ડુબવા માંગતી નથી આથી નોમિનલ સભ્ય બનાવવા જરૂરી છે લોનધારક સાથે બે જામીનોને પણ નોમિનલ સભ્ય બનાવવા પડે તેવી નવી સમસ્યા સામે આવી છે અને લોન ધારક સાથે બે જામીનદારોને સભ્ય બનાવવા સામે સભ્ય સંખ્યા વધવાની નવી સમસ્યા ઉભી થતા સહકારી બેંકોને આત્મનિર્ભર લોન આપવા સામે નવો પડકાર સામે આવ્યો છે.
-સહાય નથી, લોન છે તે સમજીને પરત ભરવી પડશે
જામનગર સહકારી બેંકોના મેનેજરોએ વર્ષોના અનુભવ બાદ આત્મનિર્ભર લોન મામલે જણાવ્યુ હતું કે, ઘણા લોકો આ સરકારની સહાય છે તેવું સમજી રહ્યા છે પરંતુ સહકારી બેંકોના થાપણદારો, પ્રજાના પૈસા છે, જે ધંધાર્થીને અપાશે ત્યારે સહાય નહી, પરંતુ લોન છે તે સમજીને ભરવી પડશે તે સમજીને લોન લે તેવી મેનેજરોએ અનુરોધ કર્યો છે.