Mysamachar.in-ગુજરાત:
રાજ્યના કેટલાક સાંપ્રત મુદ્દાઓને લઈને આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું સાશન છે. મહાનગરોમાં ભાજપની સત્તા છે. સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે મોટી મોટી જાહેરાત આપે છે. રોજગારી ના મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે.
તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપના પ્રજા વિરોધી શાસનના કારણે મંદી-મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે. 2014માં મોંઘવારીના નામે સૂત્રો આપવામાં આવ્યા હતા. પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 ને આંબી ગયો છે. ડિઝલમાં 824 ટકા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરાયો છે. 2014ની સરખામણીએ પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કરાયો છે. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવવાના વાયદા સામે 7 વર્ષ થયાં તેમ છતાં મોંઘવારી વધી છે.
અમિત ચાવડાએ કહ્યું, UPAની સરકારમાં રૂ.71ની કિંમતે પેટ્રોલ મળતું હતું. 1 વર્ષમાં 8 હજારથી વધારે લોકો એ આત્મહત્યા કરી છે. સરકાર લોકોને સારું જીવન આપી શકી નથી. 1 વર્ષમાં ગુજરાતમાં 15 લાખ ગરીબો વધ્યા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં બેરોજગારી છે. ભરતીના નામે જાહેરાત થાય છે. LRDમાં 10 હજારની જગ્યા માટે 12 લાખ લોકોએ અરજી કરી, જે બેરોજગારીનો દર બતાવે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે ડ્રગ્સની બદી ગુજરાતમાં વધી છે. ગુજરાતના દરિયાકાંઠાથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, અને દરેક શહેરોમાં ડ્રગ્સ પહોંચે તે પ્રકારનું નેટવર્ક ચાલે છે.
આ તમામ મુદ્દે લોકોને જાગૃત કરવા અને સરકારને ઢંઢોળવા આવતીકાલથી કોંગ્રેસ 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મંદી-મોંઘવારી સામે જનજાગૃતિ અભિયાન કરશે. જેમાં ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરાશે તથા સ્થાનિક લોકો પાસે જઈને પરિવારને શું તકલીફ છે તે જાણવામાં આવશે. આ માટે 52 હજાર જેટલા બુથ પર કોંગ્રેસના કાર્યકર્તા જશે. તમામ ધારાસભ્યો-સાંસદ સભ્યો અને મંત્રીઓના ઘરે જઈને કોંગ્રેસ આવેદન પત્ર આપશે.