Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠક પરનાં કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનો લોકસંપર્ક અને ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ઝંઝાવાતી પવનની માફક આગળ વધી રહ્યો છે. તેઓએ મતદારોને જામનગરનાં સર્વાંગી વિકાસનો કોલ આપ્યો છે અને તેઓને મતદારોનું જબ્બર સમર્થન મળી રહ્યું છે. સમગ્ર ગુજરાતની સાથે-સાથે જામનગરમાં પણ પ્રથમ તબક્કાનાં ચૂંટણી પ્રચારની અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અને પાર્ટીનાં ઉમેદવાર(જામનગર ઉત્તર) બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી પ્રચારમાં કોઈ પણ કસર બાકી રાખવા ઇચ્છતા નથી. તેઓનાં સમગ્ર મતવિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર વંટોળની માફક ચાલી રહ્યો છે.
કાલે રવિવારે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ પોતાનાં સમર્થકો અને ટેકેદારોના કાફલા સાથે, શહેરનાં વોર્ડ નંબર 11માં વ્યાપક લોકસંપર્ક કર્યો હતો. તેઓને તમામ વિસ્તારોમાં મોટું સમર્થન મળી રહ્યું છે. મતદારો પરિવર્તન ઇચ્છે છે, એ બાબત સ્પષ્ટ જણાઈ રહી છે. તેઓનાં ચૂંટણી પ્રચાર કાફલાએ રવિવારે ગુલાબનગર સહિતનાં વિસ્તારમાં ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. તેઓને બહોળું જનસમર્થન મળી રહ્યું છે. મતદારો પૈકી વડિલો, માતાઓ, બહેનો અને યુવાનોએ પરિવર્તન માટે કોંગ્રેસને મોટી સંખ્યામાં મતો આપી કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજય અપાવવા વચનો આપ્યા હતાં. મતદારો કોંગ્રેસ તરફી મતદાન માટે પહેલી ડિસેમ્બરનો ઈંતજાર કરી રહ્યા છે.
આ લોકસંપર્ક દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ મતદારોને શહેરનાં સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી. આ લોકસંપર્ક દરમિયાન જામનગર શહેર કોંગ્રેસનાં વિવિધ પાંખના હોદેદારો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.