Mysamachar.in-જામનગર
તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2021નું બજેટ રજુ કર્યું…ત્યારે આ બજેટને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે આ બજેટ એટલે કે આંકડાઓની માયાજાળ, ખેડુતો તથા આમ આદમીને આંકડાઓની માયાજાળ અને ચાંદ-તારા બતાવતું હોય, તેવું આ કેન્દ્ર સરકારનું બજેટ છે. જેમાં ખેડુતોની આવક બમણી કરવાની ક્યાંય વાત નથી કે ખેત ઉત્પાદનોનાં ભાવ વ્યાજબી મળે તેમજ ખેડુતોને લાભ થાય, તેવી કોઈ બાબત આ કેન્દ્રીય બજેટમાં દર્શાવવામાં આવેલ નથી. ખેડતોની આવક બમણી કરવાની વાતો કેન્દ્ર સરકાર વર્ષોથી મોટી મોટી જાહેરાતો દ્વારા કરે છે.
પરંતુ કેન્દ્ર સરકારની જો આ વાતો સાચી પડી હોત તો લાખો ખેડતો કેન્દ્ર સરકાર સામે આંદોલનમાં કેમ બેઠા છે ? આ સરકારને ખેડુતોની અને લોકોની સુખાકારી વધે કે સામાન્ય જનને કોઈ લાભ થાય તે બાબત તો દૂર રહી, તેના બદલે સરકાર અનેક જાહેર સાહસો જેમકે, એલ.આઈ.સી., બી.એસ.એન.એલ. અને ઈન્ડિયન એરલાઈન્સ જેવી કંપનીઓ વહેંચી નાખી હજારો કામદારોને રોજગાર વંચીત કરવાના અને બેરોજગારી વધારવાની કાર્યવાહી કરવાના પગલાં લઈ રહી છે.
આ કેન્દ્રીય બજેટમાં બેરોજગારોને રોજગારી મળે તેવા પગલાંનો કોઈ ઉલ્લેખ નથી. કેન્દ્ર સરકાર તથા કેન્દ્રના તમામ પ્રધાનમંત્રીઓ લોકો સમક્ષ બેરોજગારોને રોજગારી આપવાની મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ બજેટ ગરીબી ઘટાડવાને બદલે ગરીબી વધે, ગરીબો વધુ ગરીબ થાય તેવું હોવા ઉપરાંત કોરોના મહામારીમાં આવેલ આ બજેટમાં લોકો દ્વારા રાહતના પગલાંઓની મોટી મોટી આશાઓ રાખેલ હતી, પરંતુ આવી કોઈ બાબત દર્શાવેલ નથી. કે કોઈ રાહતો બજેટમાં જાહેર કરેલ નથી. દરવર્ષે 2 કરોડ લોકોને રોજગારી મળશે તેવી વાતો કરવામાં આવે છે પણ કયારે ?
કૃષિક્ષેત્રે ખેડુતોને બજેટમાં આવક બમણી માટેનાં અનેક પગલાંઓ તથા રાહતની આશાઓ હતી, પરંતુ તેના બદલે ખેડુતોને વર્ષે રૂા. 2000ની સહાય આપવાથી આવક બમણી થઈ શકે નહી. કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો સબંધમાં કોઈ પગલાં આ બજેટમાં દર્શાવેલ નથી. ઉપરાંત ખેડુતોને કૃષિ માટે જરૂરી એવી બાબતો, સસ્તી વિજળી, પાણી ચોવીસ કલાક મળે તે બાબત સબંધમાં લેવાનારા કોઈ પગલાંઓનો ઉલ્લેખ આ કેન્દ્રીય બજેટમાં નથી. પરંતુ રોજે-રોજ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતાં થાકતી નથી, ત્યારે આ બજેટમાં તો ખેડુતોને ” ઠેંગો ” બતાવેલ છે. તેમ વિજળી માત્ર અમુક સમય માટે અને પાણી પણ પૂરતુ મળવાનું તો દુર્લભ છે. ત્યાં ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવોની કોઈ વાત આ કેન્દ્રીય બજેટમાં કહેવામાં આવેલ નથી.
આત્મનિર્ભર ભારતની વાતો કરવામાં આવે છે. પરંતુ, આત્મનિર્ભર થવા માટે જગતના તાતને કાંઈ આપવામાં આવેલ નથી. પરંતુ ખેડુતો તો પહેલે થી જ આત્મનિર્ભર છે, તેમાં સરકારનો કોઈ જ રોલ નથી. તેમજ કોઈ લાભ આમ આદમીને પણ આ બજેટમાં આપેલ નથી. ઉલ્ટાનાં ખાનગી કરણ જેમકે બેંકોનું, રેલ્વેનું, વિમા ક્ષેત્રનું અને ટ્રાન્સપોર્ટ સર્વીસ જેવા અનેક જાહેર સાહસોનાં ખાનગીકરણથી બેરોજગારી તથા ગરીબીમાં વધારો કરનારૂ આ બજેટ છે. ખેડુતોને પણ માત્ર અને માત્ર નિરાશા આપનારું આકોરોના જેવી મહામારીમાં આવેલ કેન્દ્રીય બજેટ છે.
આત્મનિર્ભર, ખેડુતોને બમણી આવક મળવાની લુખી વાતોની જ યાદ આપતું આ કેન્દ્ર સરકારનું વર્ષ–2021નું બજટે છે. આ સરકારનું કામ છે માત્ર ખાનગીકરણ કરવાનું અને જાહેર સાહસો વહેંચવાનું અને માલેતુજારોને વધુ માલદાર બનાવવાનું હોય તેમ આ યાદીના અંતે વિક્રમ માડમે જણાવ્યું છે. ઉપરોકત વિગતે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા મત વિસ્તારનાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.