Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદ, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો.બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના અનેક જિલ્લામાં આજથી આગામી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. બુધવારે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ઝાપટાં પડયા હતા. આ સાથે અમદાવાદમાં પણ બુધવાર રાતે અને ગુરૂવારે સવારે પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકો અને જગતના તાતને ચિંતા થઇ છે કે ભરશિયાળામાં વરસાદ વરસે છે તો કરવું શું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરુવારે કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકામાં માવઠાની આગાહી છે. જ્યારે આવતીકાલે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યારે રવિવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.આ તમામ વચ્ચે ઠંડી પણ યથાવત હોય હોય ત્યારે લોકોમાં અવઢવ છે કે રેઇનકોટ પહેરીને નીકળવું કે સ્વેટર..?