My Samachar.in : કાલાવડ
જામનગર જીલ્લાના કાલાવડમાં આવેલી ગણેશ ઓઇલ મીલના માલિકને નડિયાદની એક પેઢીના બે સંચાલકોનો કડવો અનુભવ થતા તેની સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે, પોતાની મીલમાંથી અલગ-અલગ સમયે 800 નંગ તેલના ડબ્બા મોકલાવ્યા પછી નડિયાદની પેઢીના સંચાલકોએ ચેક તેમજ આરટીજીએસ મારફતે નાણાં મોકલવાનો ભરોસો આપ્યા પછી આરટીજીએસ નહી કરતાં અને ચેક પાછો ફરતાં નડિયાદની પેઢી સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
કાલાવડમાં આવેલી ગણેશ ઓઇલ મીલના સંચાલક ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ પાનસુરીયા કે જેઓ સાથે તેલની ખરીદી માટે નડિયાદમાં નવા ગંજ બજાર કબ્રસ્તાન પાસે પેઢી ધરાવતા ઉત્તમભાઈ બારોટ અને જનકભાઈ નામના બે સંચાલકો સાથે સૌપ્રથમ 200 નંગ તેલના ડબ્બાની ડીલીવરી કરી હતી, અને તે અંગેનો ચેક મોકલ્યા પછી તેલના ડબ્બા મોકલાવ્યા હતા. પરંતુ તે ચેક બેંકમાં નાખતાં નાણાંના અભાવે પાછો ફર્યો હતો. જે બાદ કાલાવડના ઓઈલ મીલર ભાવેશભાઈ દ્વારા નડિયાદની પેઢીના બન્ને સંચાલકો સાથે ચેક રિટર્ન અંગેની વાતચીત કરવામાં આવી હતી. દરમિયાન બંને શખ્સોએ ફરીથી બીજા 600 નંગ તેલના ડબ્બા મોકલવાનું જણાવી અડધા રૂપિયા આરટીજીએસ મારફતે, અને અડધી રકમ ચેક મારફતે મોકલાવશે તેમ જણાવી વધુ 600 ડબ્બા મેળવી લીધા હતા.
જેના માટે કુલ 16 લાખ છ હજાર જેટલી રકમ પૈકી આઠ લાખની રકમ આર.ટી.જી.એસ કરવા માટે અને બાકીની રકમ નો ચેક મોકલાવ્યો હતો. જે ચેક ફરીથી બેંકમાં નાખતાં નાણાના અભાવે પાછો ફર્યો હતો, તેમજ કોઈ પણ પ્રકારનું આરટીજીએસ આવ્યું ન હતું. ત્યાર પછી બંને શખ્સોએ ફોન કરવાની પણ ના પાડી દીધી હતી. જેથી કાલાવડ ના ઓઈલમિલર ભાવેશભાઈએ તાત્કાલિક અસરથી કાલાવડના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, અને તેઓની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે કાલાવડ પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 406, 420 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.