Mysamachar.in:જામનગર
જામનગરનાં લોકવિચાર મંચનાં હોદેદારોએ રાજ્યનાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવ્યો છે. આ પત્રની નકલ જામનગર એસટી સતાવાળાઓને પણ આપવામાં આવી છે. જેમાં વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. આ પત્રમાં કહેવાયું છે કે, બસમાં સફાઈ કામગીરી તથા બેઠક વ્યવસ્થાની જાળવણી કરવી જોઈએ. બસમાં વડિલો, મહિલાઓ અને દિવ્યાંગો માટે બેઠક વ્યવસ્થા અંગે અગ્રતા રાખવી જોઈએ. બસોનું સમારકામ તાકીદે કરાવવું જોઈએ. કોરોના દરમિયાન બંધ કરવામાં આવેલી બસો ફરી શરૂ કરાવવી જોઇએ. નિયમથી વધુ મુસાફરો ભરવા અંગે ડ્રાઈવર અને કંડકટરની જવાબદારી નિયત કરવી તથા આવા કિસ્સાઓમાં અકસ્માત થાય ત્યારે તેઓની સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ.
પત્રમાં કહેવાયું છે કે, બસોમાં ટિકીટ ચેકીંગ કામગીરી વ્યાપક બનાવવી જોઈએ. બસ ડેપોમાં સ્વચ્છતા રાખવી જોઈએ. પૂછપરછ બારી પર ઘણી વખત કોઈ ફોન ઉપાડતુ નથી. ડેપોમાં બેસવા માટેના બાંકડાઓ પર આવારા સહિતના તત્વો સૂતાં હોય છે ! ખાનગી ધંધાર્થીઓ ડેપોમાં આવી મુસાફરો ખેંચી જાય છે, સતાવાળાઓ મૌન છે ! બસનાં સમયમાં ફેરફાર થયો હોય તો એ અંગે મુસાફરોને જાણ કરવી જોઈએ વગેરે સૂચનો મંચનાં પ્રમુખ સહદેવ મકવાણા અને મંત્રી કિશોર મજીઠીયાએ લખીને મોકલ્યા છે.