Mysamachar.in-અમદાવાદ:
આજના આધુનિક યુગમાં હજુ કેટલાય લોકો તાંત્રિક અને ભૂવાના શરણે જઈ રહ્યા છે. અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે, અમદાવાદ શહેરના પોષ વિસ્તારમાં વસવાટ કરતી અને ધનિક પરિવારને યુવતીને એક યુવક પસંદ આવી ગયો હતો. હવે તેને પોતાના વશમાં કરવા માટે જો કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવે તો તે યુવક પોતાના વશમાં થઈ જાય તેમ યુવતી માનતી હતી, તેણે ઇંસ્ટાગ્રામ મારફત તાંત્રિકની શોધ આદરી અને તેને એક તાંત્રિક મળી પણ ગયો. હવે તાંત્રિક સમક્ષ પોતાની વાત રજૂ કરી અને તાંત્રિકે કોલેજીયન યુવતી પાસેથી તાંત્રિક વિધિના નામે 15000 રૂપિયા પડાવી લીધા. તાંત્રિક વિધિ કર્યા બાદ પણ મનગમતો યુવક પોતાના વશમાં થયો નહીં. હવે યુવતીને લાગવા માંડ્યું કે તાંત્રિક તેને છેતરી ગયો છે. જેથી તેણે તાંત્રિક પાસે પરત પૈસા માગ્યા હતા, પરંતુ તાંત્રિકે તેને યોગ્ય જવાબ આપ્યા નહોતા.અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો,
જેને કારણે યુવતીએ તાંત્રિકને પાઠ ભણાવવાનો મનોમન નિર્ધાર કરી લીધો હતો અને તેણે ઇન્સ્ટાગ્રામ મારફત પોતાના સંપર્કમાં હતા એવા એક વ્યક્તિને આ વાતની જાણ કરી હતી. તેણે વકીલ મારફત તાંત્રિકને સીધો કરી દેવાનો અને તેની સામે એફઆઈઆર કરાવવાની યુવતીને હૈયાધારણા આપી હતી અને આયોજન મુજબ વકીલે યુવતીને પોતાના વિશ્વાસમાં લઇ તાંત્રિક સામે કાનૂની પગલાં લેવાની વાતો કરી ટુકડે-ટુકડે ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. આખરે યુવતીને ભાન થયું હતું કે તે છેતરાઈ ગઈ છે અને તેને જાતે જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે.