Mysamachar.in-જામનગર
જામનગરની આણદાબાવા સેવા સંસ્થાના મહિલા વૃદ્ધાશ્રમ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. કલેકટર રવિશંકર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે મહિલા વૃદ્ધાશ્રમના વયોવૃદ્ધ માતાઓનું વયોવૃદ્ધ મતદાતા તરીકે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ તકે કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, 25 જાન્યુઆરી 1950માં બંધારણ મુજબ ચૂંટણી આયોગની સ્થાપના થઇ અને દેશની લોકશાહીને મજબુત કરવાની આ અમૂલ્ય પ્રક્રિયાનો પ્રારંભ થયો, ત્યારે વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વયોવૃદ્ધ માતાઓ કે જેઓએ અનેક વર્ષોથી લોકશાહીને મજબુત કરવા દરેક પરિસ્થિતિમાં, દરેક ચૂંટણીમાં પોતાનો અમુલ્ય મત આપ્યો છે તેમની રાષ્ટ્ર માટેની સેવા ભાવનને બિરદાવી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ ચૂંટણી અધિકારી મીતાબેન જોશી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, સમાજ સુરક્ષા કચેરીના અધિકારી પ્રાર્થના શેરસીયા તથા આણદાબાવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને બહોળી સંખ્યામાં વૃદ્ધાશ્રમની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.