Mysamachar.in:જામનગર
આગામી સમયમાં સીએનજી, પીએનજી અને ખાતરોના ભાવોમાં વધારો આવી શકે છે. સરકારે કાલે શુક્રવારે લીધેલાં એક નિર્ણયને કારણે આ અસરો જોવા મળી શકે છે. ભારતમાં નેચરલ ગેસનું જે ઉત્પાદન થઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નેચરલ ગેસનાં ભાવમાં વધારો જાહેર કર્યો હોય, આગામી સમયમાં સીએનજી અને પીએનજીની કિંમતોમાં ઉછાળો નોંધાઈ શકે છે. આ ઉપરાંત ખાતરોના ઉત્પાદનમાં નેચરલ ગેસનો ઉપયોગ થતો હોય, ખાતર ઉત્પાદન કિંમત વધશે તેથી ખાતરોના ભાવોમાં પણ ફરી વધારો થઈ શકે છે. જો કે, નિષ્ણાંતોની સમિતિ હજુ આ સંભવિત ભાવવધારા અંગે સમીક્ષા કરી રહી છે, બાદમાં આ સમિતિ પોતાની ભલામણો રજૂ કરશે.
ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા નામની સરકારી કંપનીઓને આપવામાં આવતાં ગેસનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓએ પણ પોતાનાં ગેસનાં ભાવમાં વધારો જાહેર કર્યો છે. આગામી એપ્રિલ સુધી આ સ્થિતિ રહેશે. એપ્રિલ, 2023માં ફરીથી ગેસનાં ભાવોની સમીક્ષા કરવામાં આવશે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે રાંધણગેસ વિતરણ કરતી કંપનીઓ પણ ભાવવધારો લાદી શકે છે. આમ થશે તો, દીવાળી પહેલાં અથવા પછી વધુ એક ડામ નકકી છે. જો કંપનીઓ બધો જ પડતર કિંમત વધારો ગ્રાહકો પાસેથી વસૂલશે તો ભાવવધારો મોટો પણ થઈ શકે છે !