Mysamachar.in-જામનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જામનગર શહેરની મુલાકાત કરી હતી. જે બાદ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રી દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી. જી.જી.હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ સમગ્ર સ્ટાફની સેવાને વખાણી કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડોક્ટરો-નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.