Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં લમ્પી નામનો વાયરસ ફેલાયો છે અને આ વાયરસને કારણે કેટલીય ગૌમાતા મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે રહી રહી ને જાગી છે, અને હજુ પણ સબ સલામતના બણગાઓ ફૂંકી રહી છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવી પહોચ્યા હતા અને તેવોએ સારવાર કેન્દ્ર, વેક્સીનેશન સેન્ટર, રોગગ્રસ્ત ગૌધનના શેડસ, રહેઠાણની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું પણ સાહેબ આ તકે આપનું એટલું ધ્યાન જરરુ દોરવા માંગીએ છીએ કે આવી આપની મુલાકાતો માત્ર મુલાકાતો જ ના રહે પણ તેનું કઈક નક્કર પરિણામ મળે તે જરૂરી છે, કારણ કે રહી રહી ને જાગેલી સરકાર હવે આંકડાઓની માયજાલમાં પડી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.
ભુપેન્દ્ર પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે. જામનગર જિલ્લામાં નોંધાયેલા 138176 પશુધન પૈકી અત્યાર સુધી 110456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભિમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા તેમજ જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.