Mysamachar.in-ગાંધીનગર
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે સલામતીના હેતુથી જે ખાતરી આપી હતી તે હવે પૂરી કરવાની છે. ગત વિધાનસભામાં જમીન ઉચાપત મામલે કાયદાનું બિલ લાવવામાં આવ્યું હતું. જેમાં જમીન માફિયાઓને કાબૂમાં કરવા માટે નિયમો બનાવ્યા છે. ત્યારે ગુજરાતમાં પહેલી વખત આજથી તેની અમલવારી શરૂ કરવામાં આવનાર છે. જેમાં કોઈપણ વ્યક્તિ જમીન, મકાન, મિલકતમાં ગેરકાયદેસર ઘૂસી જતા હોય, પડાવી લેતા હોય, દસ્તાવેજ બનાવી લેતા હોય તે બધા જ લોકોની સામે આ કાયદાના અમલને વ્યવસ્થા બનાવી છે. આજથી લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરુ કરવામાં આવે છે,
અને જે કોઇ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તેને કલેક્ટર પાસે ફરિયાદ આધાર પુરાવાઓ સાથે કરી શકશે. આ કેસ છ મહિનામાં પૂર્ણ થશે અને ઓછામાં ઓછી 10 વર્ષની કેદ થશે. ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી આજથી શરૂ કરીએ છીએ. આ કાયદામાં આપણે કોઇપણ વ્યક્તિ એની મિલકતમાં કોઇ ગેરકાયદેસર ઘુસી જતા હોય કે બારોબાર દસ્તાવેજ કરી દેતા હોય એ માટેની અસરકારકતા માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે.
સીએમ રૂપાણીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, આ ફરિયાદ કલેક્ટરને દસ્તાવેજો સાથે લેખિતમાં ફરિયાદ કરી શકે છે. સાત અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે આ કાયદામાં જોગવાઇ એ છે કે દર 15 દિવસમાં આની મિટિંગ થશે. રેવન્યૂ, પોલીસના કાયદાઓની ચકાસણી કરવામાં આવશે. જો આ ફરિયાદ ગેરવ્યાજબી હશે તો કાઢી નાંખવામાં આવશે અને વ્યાજબી હશે તો આગળ ચલાવવામાં આવશે. પંદર દિવસે મિટિંગ થશે અને 21 દિવસમાં આ કમિટિએ નિર્ણય લેવાનો રહેશે. સજા અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સાચી ફરિયાદમાં પોલીસને સાત દિવસમાં ફરજિયાત એફઆઇઆર નોંધવાની રહેશે. આ અંગે આપણે વિશેષ અદાલતો બનાવી છે. કોર્ટ છ મહિનામાં ડિસ્ટ્રિક્ટ પ્રમાણે કોર્ટમાં વિશેષ કામગીરી ચાલશે અને નિર્ણય આપવાનો રહેશે. આ કેસમાં આરોપીને સજાની જોગવાઇમાં ઓછામાં ઓછા 10થી વર્ષ કેદની સજા અને વધુમાં વધુ 14 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગૂનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઇ પણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. હવે આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.