Mysamachar.in:અમદાવાદ
કુદરત જાણે માનવોથી રુઠી હોય તેવુ લાગે છે. ગ્લોબલ વોર્મિબાદગને કારણે તમામ મોસમ વિખેરાઈ ગયા છે. તો કુદરતી આફતો અટકવાનું નામ નથી લઈ રહી. તેમાં ભારતમાં જાણે ચોમાસાની હવે કોઈ સીઝન રહી નથી. બારેમાસ વરસાદ થતો રહે છે. જેની સીધી અસર માનવ જીવન પર થાય છે. ત્યારે હવે કડકડતી ઠંડીના દિવસો આવી ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલ અનાજને નુકસાની ન થાય તેની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
ગુજરાતીઓની નવા વર્ષની શરૂઆત માવઠા સાથે થઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદે દસ્તક દીધી છે. એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીઓ ઘરે ઘરે ફેલાઈ રહી છે, આવામાં માવઠુ વધુ બીમારીઓને નોતરશે. તો સૌથી મોટુ સંકટ ખેડૂતોના માથા પર છે. ખેડૂતોનો રવિ પાક માવઠાને કારણે નષ્ટ થઈ શકે છે. નવા વર્ષે ખેડૂતોને રડવાનો વારો આ માવઠા થાય તો આવી શકે છે.