Mysamachar.in-જામનગર
દેશભરમાં 7 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત પોતાનું અંગત અનુદાન આપી કરી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યાએ પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટર ડો. સૌરભ પારઘીએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ “કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ” લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ આ કચેરીનો સંપર્ક નંબર 0288-2558311 છે.