Mysamachar.in-જામનગર:
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલી એક ચાંદીના ઘરેણાની દુકાનમાં ખરીદી અર્થે આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી રૂપિયા 13000 ની કિંમતના ચાંદીના ઘરેણાંની ચોરી કરી જઈ રફુચક્કર થઈ હતી. જે મામલો સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી કેટલીક મહિલાઓને ઉઠાવી લઈ પૂછપરછ હાથ ધરી છે. અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જૂની સોની બજારમાં હુસેની જ્વેલર્સ નામની ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા વેપારી કેઝારભાઈ મામુજી દાઉદી વ્હોરા કે જેઓ રવિવારે સવારે પોતાની દુકાને બેઠા હતા.જે દરમિયાન બે અજ્ઞાત મહિલાઓ ચાંદીના ઘરેણા ખરીદવા માટે આવી હતી, અને અલગ અલગ ઘરેણા અને તેનું વજન બાબતે વેપારીને વાતોમાં પરોવી રાખીને એક મહિલા દ્વારા ચાંદીના સાંકળા અને ચાંદીની લકી સહિત રૂપિયા 13000 ની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરી લીધી હતી, અને ત્યાર પછી ખરીદી કરવાનું ટાળીને બંને મહિલાઓ ચાલતી થઈ ગઈ હતી.
પાછળથી વેપારીને શંકા જતાં તેઓએ પોતાની દુકાનના સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા હતા, જેમાં તેમની દુકાનમાંથી ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વેપારી કેઝારભાઈ અને તેના પુત્ર મુર્તુઝાભાઈ સિટી એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓ સામે રૂપિયા 13000ની કિંમતના ચાંદીના ઘરેણાની ઉઠાંતરી કરી જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરા ની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.