Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં તાજિયાનો તહેવાર ચાલી રહ્યો હતો ત્યારે તે દરમિયાન કોઈ લોકોને અફવાઓથી માહિતી મળેલ કે જામનગર જીલ્લામાં તેમજ રાજકોટ જીલ્લામાં તાજીયાના ઝુલુસ માટેની મંજુરી આપવામાં આવી છે, તેવી અફવા ફેલાઈ જતા તાજીયાના ઝુલુસ નીકાળવા બાબતે લોકો એકત્ર થઇ જતા પોલીસ પણ ત્યાં પહોચી હતી અને કોરોના ગાઈડલાઈન્સ અને સરકારની સૂચનાઓ મુજબ તાજીયાના ઝુલુસ ના નીકાળવા બાબતે લોકોને સમજાવતા હતા તે દરમીયાન પોલીસ અને ટોળા વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ સર્જાઈ જતા જોવા જેવી થઇ હતી અને ઉશ્કેરાયેલ ટોળાએ પોલિસ અને પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા જે મામલે સલાયા પી.આઈ.પી.બી.ઝાલાએ પોતે જ ફરિયાદી બની સલાયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે તેના પર નજર કરવામાં આવે તો..
ફરિયાદી સલાયા પી.આઈ.ઝાલા પોતે અને સલાયા મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા જી.આર.ડી. સભ્યો સલાયા હુશેની ચોકમાં મોહરમ બંદોબસ્તમાં હોઇએ તે દરમ્યાન રીઝવાન રજાક સંઘાર, હમીદ રજાક સંઘાર, અકરમ રજાક સંઘાર, અબ્દુલકરીમ સલીમ ભગાડ, કરીમ નુરમામદ સંઘાર, એજાજ રજાક સંઘાર, આમીન ઉર્ફે ચકલીમીડી જાવીદ સૈયદ, નુરમામદ ભીખા ગજીયા, અસગર રજાક સંઘાર, આબીદ તાલબ ભોકલ, સબીરહુશેન ગુલામહુશેન સુભણીયા, ગુલામ ઉંમર ભગાડ, મહેબુબ ફારૂક ગજ્જણ, ફિરોજ અનવર ગજણ, ઇમરાન રજાક સંઘાર સહિત આશરે પાચેક હજાર માણસોનુ ટોળુ રહે બધા સલાયાએ પ્રવર્તમાન કોવીડ-19 મહામારીના સંદર્ભમાં સરકારની ગાઇડલાઇન્સ અને ધાર્મિક કાર્યક્રમોમાં 400ની સંખ્યા મર્યાદા અંગેના જાહેરનામા વિરૂધ્ધમાં જઇને જાણી જોઇને કાયદાનો ભંગ કરવા તથા મહોરમનો તહેવાર ઉજવવા સારૂ સલાયાના ઇમામ ચોક ખાતે આરોપીઓ સહિત 1000 થી 1500 જેવી મોટી સંખ્યામાં સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવ્યા વગર અને માસ્ક પહેર્યા વગર શસ્ત્ર ધારણ કરીને હિંસક ટોળા સ્વરૂપે એકઠા થઇ ગયા હતા,
અને ટોળાએ એકસંપ કરી એકબીજાને મદદદગારી કરી ઉશ્કેરણી કરી મનાઇ હોવા છતાં તાજીયા માતમમાંથી બહાર કાઢી સરઘસ કાઢવાની ચેષ્ટા કરતા બંદોબસ્ત ફરજમાં હાજર ફરિયાદી પી.આઈ.ઝાલા સહિતના સ્ટાફે તેમને સમજાવટથી રોકવા પ્રયત્ન કરતા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરી પોલીસના સરકારી વાહન જીપ પર હુમલો કરી જીપની અવરોધ કરી તેમાં બેઠેલા અધિકારી કર્મચારીઓને જબરદસ્તીથી બળપૂર્વક નીચે ઉતારી જીપનો અનઅધિકુત કબજો લેવા માટે હિંસક હુમલો કર્યો હતો અને પોલીસ ઇન્સ્પેકટરના હાથમાં રહેલ રૂપીયા દસ હજાર સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટસવાળુ પર્સ પોતાના ઉપયોગ માટે બળજબરીપૂર્વક ઝુંટવી લીધેલ તેમજ સ્ટાફના માણસોને નાની મોટી તેમજ ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી ઘાયલ કરેલ તેમજ સરકારી વાહન જીપને પોતાની પાસેના હથિયારોથી નુકસાન પહોંચાડેલ હતું.
તો આ ઘટનામાં ભોગ બનનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા જી.આર.ડી. સભ્ય દિલીપભાઇ વઘોરાને જાનથી મારી નાખવાના ઇરાદે ઉપર જણાવ્યા મુજબના આરોપીઓએ હિંસક હથિયારથી જાનલેવા હુમલો કરી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી તથા પોલીસ તથા જી.આર.ડી. સભ્યો ઉપર છુટ્ટા પથ્થરો તથા લાકડીઓ, પાઇપો વડે માથાના ભાગે હિંસક હુમલો કરી માર મારતા હોય જે તેઓના કુત્યથી પોલીસ જવાનો તેમજ જી.આર.ડી. સભ્યોનું મોત નિપજવાનો પુરેપુરો સંભવ હોય તેવી જાણકારી હોવા છતાં ઇરાદા સાથે માર મારી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યા સબબનો ગુન્હો દાખલ થયા બાદ આરોપીઓને અટકાયત કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે.