Mysamachar.in:જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં લાઇમસ્ટોનની ખાણો આવેલી છે. સૌરાષ્ટ્રમાં આ ખનિજનો બેનંબરી વ્યવસાય દાયકાઓથી કરોડો રૂપિયાનો હોવા અંગે પણ સમયાંતરે ચર્ચાઓ ઉઠતી હોય છે. હાઈકોર્ટ સહિતની અદાલતોમાં પણ ખનીજચોરીનાં ઘણાં મામલાઓ ચાલતાં રહેતાં હોય છે. આ બધાં વચ્ચે, ખાસ કરીને લાઇમસ્ટોનની ચોરીનો મામલો છેક દિલ્હી પહોંચતા દિલ્હીથી અધિકારીઓ સૌરાષ્ટ્ર-હાલારમાં દોડી આવ્યા છે.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પોરબંદર જિલ્લાના સૈયદ મોહમ્મદ નામનાં એક અરજદારે લાઇમસ્ટોનની બેફામ ચોરી અંગે દિલ્હીમાં વડી કચેરી ધરાવતી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ સહિતનાં વિસ્તારો અંગે પણ ફરિયાદ થઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાલે મંગળવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં દિલ્હીસ્થિત અધિકારીઓ જામનગર આવ્યા હતાં. તેઓએ કલેકટર સહિતના વિવિધ વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એવાં ઔદ્યોગિક એકમોનાં પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા જે એકમો સિમેન્ટ ઉત્પાદન સહિતનાં વ્યવસાયમાં લાઇમસ્ટોનનો મોટાં પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય. જો કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં કાર્યરત આ ઔદ્યોગિક એકમોએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં અધિકારીઓને એમ કહ્યું છે કે, અમો હાલ લાઇમસ્ટોન ખાણકામ સંબંધિત કામગીરીમાં રોકાયેલા નથી. આ એકમોએ પોતાની કંપનીઓનાં નામો પણ આ ફરિયાદમાંથી કાઢી નાંખવા માટે વિનંતી પણ કરી હોવાનું જાણવા મળે છે. જો કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની આ બેઠક અંગે અથવા બેઠકની કાર્યવાહી અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.