Mysamachar.in-જામનગર
જામનગરના લાલપુરના પીપળી ગામ નજીકથી ત્રણ દિવસ પૂર્વે એક 60 વર્ષીય વૃદ્ધની લાશ સળગેલ હાલતમાં પોલીસને મળી આવી હતી, લાશને સળગાવી દીધી હોય જેથી તેની ઓળખ કરવી કપરું હતું, એવામા લાલપુર પી.એસ.આઈ.ડી.એસ.વાઢેર સહિતની ટીમ રાતદિવસ એક કરી અને ઘરના જ ઘાતકી હોવાની જે પહેલેથી શંકા હતી તે દિશામાં તપાસ કરી રહી હતી જેમાં અંતે લાલપુર પોલીસને સફળતા મળી છે, અને મેર પરિવારના પુત્રએ જ પિતાના માથામાં ધોકો મારી લાશને ઘર નજીક સળગાવી દીધાની ચોકાવનારો પર્દાફાશ પોલીસે કરી લીધો છે.
લાલપુર તાલુકાના પીપળી ગામે રહેતા 60 વર્ષીય હાથીયાભાઈ બાપોદરા નશો કરવાની અને જુગાર રમવાની ટેવ ધરાવતા હતા, થોડા વર્ષો પૂર્વે પોતાની જમીન પણ તેવોએ વેચી નાખી હતી, જે બાદ તેના સસરાએ 10 વીઘા જેટલી જમીન ખેડી ખાવા માટે આપી હતી,જેની હત્યા થઇ છે તે હાથીયાભાઈને ચાર સંતાનો છે, જેમાં બે દીકરીઓ હાલ સાસરે છે, જયારે બે દીકરાઓ જેમાં મોટો દીકરો રાજેશ અને નાનો અર્જુન ઉર્ફે અરજણ સાથે રહે છે.
પોતાને નશો કરવાની તેમજ જુગાર રમવાની ટેવને કારણે હાથીયાભાઈ અવારનવાર પરિવાર સાથે ઝઘડો કરતા અને મારકૂટ અને ગાળાગાળી કરતા હતા, કેટલીય વખત એવું પણ બન્યું છે કે નજીકના સગાસબંધીઓ આવીને સમજાવી જતા અને થોડો સમય શાંતિ રહેતી બાદમાં ફરીથી એનું એજ વાતાવરણ ઘરમાં થઇ જતું હતું, એવામાં ગત તારીખ 16 માર્ચના રોજ રાજેશ અને તેના પિતા હાથીયાભાઈ વચ્ચે આવા જ કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઇ હતી, દરમિયાન કંટાળી ગયેલા રાજેશે ઘરમાં રહેલ લાકડાનો ધોકો તેના પિતા પર ઘા કરતા તે ત્યાં જ ઢળી પડ્યા હતા,
પિતાની હત્યા નિપજાવ્યા બાદ ઘરથી ખુબ નજીક રાજેશે બાવળની ઝાડીઓ નજીક જ્યાં લાકડાઓ પડ્યા હતા ત્યાં પિતાની લાશને સળગાવી દીધી હતી, અને કલાક બાદ ઘરે આવ્યો હતોં અને રાજેશે ઘરે આવ્યા બાદ તેની માતા અને નાના ભાઈને આ વિષે કોઈને કહેવાની ના પાડી હતી,પરંતુ પોલીસની પૂછપરછમાં ભાંગી ચુકેલા માં અને નાના ભાઈએ પોલીસને સઘળી હકીકતો વર્ણવી દેતા આ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.
-લાશ મળી ત્યારથી જ હત્યા થયાની શંકા લાગતી હતી:પીએસઆઈ ડી.એસ.વાઢેર
જયારે સળગેલી હાલતમાં લાશ મળી ત્યારે પોલીસે પ્રથમ તો ગુમ વ્યક્તિ તરીકેની તપાસ શરુ કરી હતી, પરંતુ પીએસઆઈ ડી.એસ.વાઢેરને આ આત્મહત્યા કે અન્ય કાઈ નહિ પરંતુ હત્યા થઇ હોવાની આશંકાએ તેવોએ લાશને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી, અને પી.એમ.રીપોર્ટમાં પણ માથાના ભાગે ઘા મરાયાનું સામે આવતા પોલીસની શંકા પ્રબળ બની હતી, જે બાદ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે પીપળી ગામમાંથી હાથીયાભાઈ પણ ગુમ છે, તેથી પોલીસે તેના પરિવારજનોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ સમગ્ર મામલામાં દીકરાએ જ બાપને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલી જવા પામ્યું હતું.