Mysamachar.in-જામનગર:
ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટને લઈને અલગ અલગ ક્ષેત્રના લોકો રાજકીય પાર્ટી અને આગેવાનોના રીવ્યુ બજેટ પર મળી રહ્યા છે, ત્યારે જામનગર શહેર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બજેટને લઈને પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા છે, જામનગર શહેર જીલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પ્રકાશ દોંગા, શહેર પ્રમુખ કરશન કરમુર, ઉપપ્રમુખ આશિષ કંટારિયા, પ્રવિણ ચનીયારા, સુખુભા જાડેજા, આશિષ સોજીત્રા, પ્રદેશના મંત્રી દુર્ગેશ ગડલીંગ, દયાબેન પરમાર વગેરે આપના” આગેવાનોએ નાણામંત્રી દ્વારા રજુ થયેલ કેન્દ્રીય બજેટને ખુબ જ નિરાશાજનક ગણાવ્યું છે.
આપના આગેવાનોએ બજેટ અંગે સયુંકત પ્રતિભાવમાં જણાવ્યું છે કે, નાણામંત્રી દ્વારા વર્ષ : ૨૦૨–૨૩નું જે બજેટ રજુ કરવામાં આવ્યું છે, તે મધ્યમ વર્ગ, ગરીબ લોકો, ખેડૂતો, વેપારીભાઈઓ વગેરે માટે નિરાશા સિવાય બીજું કશું લાવ્યું નથી, અને માત્ર એક પરંપરા પુરી કરવા માટેનું બજેટ રજુ થયું હોય તેવું લાગે છે. બજેટમાં ઘણા મોટા અંદાજો અને સપનાઓની લાણી થઈ છે, પરંતુ નાણામંત્રીએ તે જોવું જોઈએ કે, અગાઉની જેમ અંદાજપત્રના ઘણાં અંદાજો ખોટા પણ પડતા હોય છે. આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે, ઘણાં વર્ગને નિરાશ કરતું આ બજેટ છે, જે લોકો નિવૃત્ત જીવન જીવતા હોય, કોઈનો આશરો ના હોય માત્ર નિવૃતિના લાભ અને રોકાણમાંથી ઘર ચલાવતા હોય, એવા સિનિયર સીટીઝનની લાભની આશાઓ આ બજેટમાં ઠગારી નીવડી છે.
લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ વાર્યો એટલે હવે મ્યુચ્યુઅલ ફંડ કે SIP આકર્ષણ ગુમાવશે. તદઉપરાંત સિનિયર સીટીઝન અને ગર્ભવતી મહિલાઓને રેલ્વે બજેટમાં ડીસ્કાઉન્ટ કે રીબેટ ચાર્જીસમાં કોઈ રાહત ન મળી. મધ્યમવર્ગને ટેક્ષ સ્લેબમાં રાહતની મોટી આશા હતી, પણ તે આશા સાવ ઠગારી નિવડી.આજકાલ શિક્ષણ ખુબ મોંઘું છે, તેમાં કોઈ રાહત નથી, જેમ હાઉસિંગ લોનના વ્યાજમાં, ઈન્કમ ટેક્ષમાંરાહત છે, તેમ હાઈયર એજયુકેશન લોનના વ્યાજ દરમાં પણ રાહત અથવા સબસીડી આપવી જોઈએ. ડીજીટલ વ્યવહારોને ટેક્ષના દાયરામાં લાવી મોટી આવક સરકાર ઉભી કરશે એટલે ઓનલાઈન ટ્રાન્ઝેકશન પણ હવે મોંઘા પડશે.ખેડુતો માટે પણ કાંઈ જ આશા જગાવનારું પગલું આ બજેટમાં દેખાતું નથી. તદઉપરાંત 60 લાખ નોકરીની વાત પણ આ બજેટમાં કરાઈ છે, પણ આ સરકારના ભૂતકાળના 7 વર્ષ જોતા તે પણ વાસ્તવિકતા સુધી પહોંચશે તેવું લાગતું નથી. મોંઘવારી, બેરોજગારી વગેરેથી ત્રસ્ત મધ્યમવર્ગ, ખેડુત કે વેપારીવર્ગને આ બજેટમાં નિરાશા સિવાય કાંઈ નથી. અંતમાં આપના આગેવાનોએ જણાવ્યું કે, તમામ વર્ગ માટે અને સામાન્ય જનતા માટે આ બજેટ નિરાશાજનક છે.