Mysamachar.in:જામનગર
જામનગરમાં બર્ધનચોક એક એવો વિસ્તાર છે જ્યાં કોર્પોરેશન આટલાં વર્ષોમાં ક્યારેય કાચો પાપડ ભાંગી શકી નથી ! મેયરો, કમિશનરો અને એસ્ટેટ શાખાનાં અધિકારીઓ તથા પોલીસ – બધાં જ અહીં, કાયમ માટે ટૂંકા પડ્યા છે ! તસવીરો બધાંએ ખેંચાવી છે – કામ કરી દેખાડવાની સિદ્ધિ કોઈનાં ખાતામાં જમા થવા પામી નથી. આ ચોકમાં અદાલતનું પાટિયું પણ છે કે, આ વિસ્તારમાં રેંકડીઓ કે પાથરણાં પર પ્રતિબંધ છે. સત્તાધીશો બીજું તો ઠીક, અદાલતનાં આ આદેશનું પાલન પણ કરાવી શક્યા નથી, દાયકાઓથી !
કાલે મંગળવારે સાંજે મેયર અને એસ્ટેટ શાખાનો કાફલો, વધુ એક વખત બર્ધનચોકમાં સીન જમાવવા પહોંચ્યો હતો. ડેલીએ હાથ દઈને પરત ફર્યો ! માત્ર સૂચનાઓ આપી, સૌ બહાદુરોએ સંતોષ માની લીધો ! આ વિસ્તારમાં નગરજનો ચાલીને શાંતિથી પસાર પણ થઈ શકતાં નથી ! સમગ્ર વિસ્તાર પર હંગામી દબાણકારો એવા ધંધાર્થીઓનો કબજો છે ! કોઈ નગરજન આ વિસ્તારમાં ખરીદી માટે જાય ત્યારે પોતાનું ટુ-વ્હીલર પાર્ક કરી શકે એટલી જગ્યા સમગ્ર વિસ્તારમાં (છેક દરબારગઢથી માંડીને માંડવી ટાવર સુધી) ક્યાંય તે શોધી શકે નહીં એવું દબાણોનુ જંગલ આ સમગ્ર વિસ્તારમાં વર્ષોથી નહીં, દાયકાઓથી મૌજુદ છે !
થોડાં થોડાં સમયે આ વિસ્તારમાં કામગીરી દેખાડવા નીકળી પડતી એસ્ટેટ શાખા અને સંબંધિત પોલીસ સ્ટાફ માટે આ સમગ્ર વિસ્તાર દૂઝણી ગાય હોવાની સનસનીખેજ વિગતો અત્યાર સુધીમાં એક કરતાં વધુ વખત જાહેર થઈ છે ! આમ છતાં એસ્ટેટ શાખાનાં બહાદુરો આ વિસ્તારમાં થોડાં થોડાં સમયે ગોગલ્સ પહેરીને કામગીરી દેખાડવા તસવીરો ખેંચાવે છે ! પોલીસની માફક ! (હંગામી કર્મચારીઓ પણ)
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની અસલિયત સૌ નગરજનો જાણે છે. આ શાખાનાં અધિકારી દીક્ષિત આખો દિવસ ગલોફામાં પાનનો ડૂચો ચાવવાના શોખીન છે અને મગર જેવી ‘જાડી ચામડી’ ધરાવવા મુદ્દે સમગ્ર કોર્પોરેશનમાં અને શહેરમાં જાણીતાં છે. કાલા ઘેલા થવાનું નાટક કરતા આ અધિકારી કોઠે નરવા છે. તેઓએ આ શાખાનાં અધિકારી તરીકે ક્યારેય, કોઈ નોંધપાત્ર કામગીરી કર્યાનું હજુ સુધી રેકર્ડ પર આવ્યું નથી ! તે અને તેની ટીમ નાટક ભજવવામાં નંબર વન છે તેની અસલીયત શહેરના પ્રબુદ્ધ નાગરીકો જાણે છે.
મેયર પાસે હવે થોડાં મહિનાઓ માટે આ પદ બચ્યું છે. ત્યારે તેઓને પ્રસિદ્ધિ મેળવવા કોઈએ શહેરમાં સીન જમાવવાનાં રવાડે ચડાવ્યા હોય તેવું છેલ્લા કેટલાક દિવસોના અહેવાલો પરથી સમજાઈ રહ્યું છે અને શહેરમાં એવી ચર્ચાઓ પણ ચાલે છે ! એ સ્થિતિમાં ગઈકાલે વધુ એક વખત એસ્ટેટ શાખાને સાથે રાખીને બર્ધનચોકમાં પરિભ્રમણ કર્યું પણ પરિણામ કાઈ જ નહિ મળે તે વાત નક્કી છે.