Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં હાલમાં સરકાર દ્વારા શિક્ષકો પાસેથી BLO તરીકેની જે કામગીરી લેવામાં આવી રહી છે તેને પરિણામે બાળકોનાં શિક્ષણ પર માઠી અસરો જોવા મળી રહી છે એવી રજૂઆત શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીષ પટેલની સહીથી રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, હાલમાં ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવા માટે ફોર્મ B6 ભરાવવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવી રહી છે. આ કામગીરી માટે શિક્ષકોએ ડોર ટુ ડોર જવું પડે છે. નાગરિકો સાથે શિક્ષકોને સંઘર્ષ થાય છે. શિક્ષકોનાં અપમાન થતાં હોવાનાં કિસ્સાઓ પણ બની રહ્યા છે. આ કામગીરીને કારણે શિક્ષણ પર માઠી અસરો થાય છે. આ કામગીરી અન્ય કોઈ એજન્સી પાસે અથવા બેરોજગાર યુવક યુવતીઓ પાસે કરાવવામાં આવે તો, શિક્ષકો શાળામાં રહી બાળકોને શિક્ષણ આપી શકે.
આ પત્રમાં સંઘે વધુમાં જણાવ્યું છે કે, આ કામગીરી માટે શિક્ષકોને રોટેશન મુજબ દર ત્રણ વર્ષે બદલવા જોઇએ અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થાય ત્યારે શિક્ષકોને આ કામગીરીમાંથી કાયમી અને સંપૂર્ણ મુક્તિ આપવા સંઘની વિનંતી છે. પ્રાથમિક શાળાઓમાં મોટેભાગે શિક્ષિકાઓ ફરજ બજાવતા હોય છે. અને આ કામગીરી ફરજિયાત ન હોવા છતાં શિક્ષકો પર દબાણ લાવી આ કામગીરી કરાવવામાં આવી રહી છે. જેથી શિક્ષકો માનસિક રીતે ડીસ્ટર્બ થાય છે અને તેથી શિક્ષકોમાં ઘણો રોષ જોવા મળે છે.
આ અંગે જુદા-જુદા જિલ્લાઓમાંથી શિક્ષકોએ સંઘ સમક્ષ રજૂઆતો કરી છે. ઘણાં કિસ્સાઓમાં તાલુકા મતદાર નોંધણી અધિકારી અથવા પ્રાંત અધિકારીઓ દ્વારા શિક્ષકોને કારણદર્શક નોટિસો પણ આપવામાં આવી રહી છે. અને તેનાં લેખિત ખુલાસા કરવા તથા શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે, જે બિલકુલ અયોગ્ય છે. ચૂંટણી કામગીરી માટે શિક્ષકો હંમેશા તૈયાર હોય છે કેમ કે તે કામગીરી બેચાર દિવસ પૂરતી હોય છે. જયારે BLO ની કામગીરી કાયમી અને બારે માસ ચાલતી કામગીરી છે. આથી આવી કામગીરીમાંથી શિક્ષકોને કાયમી મુક્તિ આપવામાં આવે તથા આ કામગીરી અન્ય એજન્સીને અથવા બેરોજગાર યુવક યુવતીઓને આ કામગીરી સોંપવામાં આવે તેવી વિનંતી શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે.