Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં CBSE શાળાઓની સંખ્યા નોંધપાત્ર છે અને વધી પણ રહી છે. ઘણાં સંપન્ન વાલીઓ પોતાના સંતાનોને ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવા તરફ ઝોક ધરાવી રહ્યા છે. આ CBSE શાળાઓમાં આગામી જૂનથી (નવાં શૈક્ષણિક સત્રથી) મોટાં ફેરફારો આવી શકે છે, CBSE ચેરપર્સન દ્વારા આ સંકેતો વડોદરામાં આપવામાં આવ્યા છે. આગામી જૂનથી CBSE શાળાઓમાં ધોરણ દસની બોર્ડ પરીક્ષા નાબૂદ થઇ શકે છે. કેમ કે, CBSE બોર્ડ આગામી શૈક્ષણિક સત્રથી કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિનો અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. હાલમાં આ બોર્ડ 10+2 ની પદ્ધતિ પ્રમાણે ચાલે છે.
આગામી સમયમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત CBSE શાળાઓ 5+3+3+4 ની શિક્ષણ પધ્ધતિ અમલમાં મૂકશે. જો આ અમલ શરૂ થઈ જશે તો આપોઆપ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આ શાળાઓમાં નાબૂદ થઇ જશે.CBSE ચેરપર્સન નિધિ છિબ્બરે વડોદરામાં બે દિવસ માટે યોજવામાં આવેલી એક કોન્ફરન્સમાં આમ જણાવ્યું અને ઉમેર્યું કે, CBSE શાળાઓમાં સ્કીલબેઝડ શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું કે, હવેથી CBSE શાળાઓમાં છાત્રો ધોરણ 6 થી વિષય પસંદગીઓ કરી શકે તે માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.