Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાક દિવસથી વધ્યો છે, ગતવર્ષે પણ મ્યુ.કમિશ્નર દ્વારા કેટલાય જાહેરનામાઓ પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે રસ્તે રઝળતા ઢોર હશે તો આ પગલા લેવાશે તે પગલા લેવાશે…પણ સાહેબ જાહેરનામું બહાર પાડે પછી તેની અમલવારી કરાવવાની જવાબદારી નીચેના સ્ટાફની છે, પણ અમલવારી અને જાહેરનામાં બધું ભુલાઈ ગયું હોય તેમ શહેરમાં ઢોરનો એવો તો ત્રાસ ચાલુ થયો છે કે ગોકુલનગર રડાર રોડ નજીક એક બાઈક સવાર વૃદ્ધને અડફેટ લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાહેર થયું છે, જે દુખદ બાબત છે.
સીટી સી ડીવીઝન પોલીસ ચોપડેથી જે માહિતી મળી રહી છે તે મુજબ ગત 25 જુનના રોજ કરશનભાઈ ભાટુ નામના 52 વર્ષીય વૃદ્ધ પોતાની બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ ખુંટીયો આડો ઉતરીને ભટકાયો હતો જેથી કરશનભાઈ મોટરસાઈકલમાં થી નીચે પડી ગયા હતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયાનું જાહેર થયું છે. આ ઘટના જામનગર શહેરના તમામ રસ્તાઓ પર નીકળનાર લોકો માટે સાવચેતી સમાન છે. અને મનપા પણ રસ્તે રઝળતા પશુઓને કાબુમાં લેવા કાર્યવાહી કરે તે પણ ઇચ્છનીય છે.