Mysamachar.in-જામનગર:
જામનગર શહેર-જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલાં વાતાવરણમાં રાજ્કીય ગરમાવો આવવાની શરૂઆત થઇ ચૂકી છે. આંદોલનોની સિઝન ખૂલવાની શક્યતાઓ સપાટી પર આવી છે. ખેતીની જમીનો, ઝોનફેર તથા ખેડૂતોનાં શોષણનો મુદ્દો નજીકનાં દિવસોમાં વધુ આક્રમક બની જાય તેવી સંભાવનાઓ છે ! આજે શુક્રવારે સવારે આ તમામ મુદ્દે કલેકટર સમક્ષ લેખિત અને વિસ્તૃત રજૂઆત થવા પામી છે. જિલ્લા પંચાયતનાં પૂર્વ વિપક્ષ નેતાએ મેદાનમાં આવી, શાસકો સમક્ષ પડકાર ફેંક્યો છે.
સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષની રજૂઆતમાં પૂર્વ વિપક્ષ નેતા કાસમ ખફીએ જણાવ્યું છે કે, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકનાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનું જમીનો મામલે શોષણ થઈ રહ્યું છે. ખેતીની જમીનો બિનખેતી થાય તે કિસ્સાઓમાં ખેતીની 40 ટકા જમીનો ‘ જાડા’ પોતાનાં કબજામાં લ્યે છે પછી આ જમીનોનો યોગ્ય વહીવટ કરવામાં આવતો નથી. સુવિધાઓના અભાવે ખેડૂતોની જમીનો નાં ભાવો ઘટી રહ્યા છે. ઔદ્યોગિક ઝોન, રહેણાંક ઝોન અને ખેતી ઝોન નક્કી કરતી વખતે પણ સત્તાવાળાઓ કોઈને કશું પૂછ્યા વિના, અસરગ્રસ્તોને વિશ્વાસમાં લીધાં વિના મનસ્વી રીતે બધાં નિર્ણયો લ્યે છે જેને કારણે શોષણ થતાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે !
આગામી સમયમાં ચૂંટણીને કારણે, જામનગરમાં મહાનુભાવો પધારવાના છે, તે તમામ મુલાકાતો દરમ્યાન ખેડૂતોની આ સમસ્યાઓને વાચા આપવામાં આવશે. જો સત્તાવાળાઓ એક સપ્તાહમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય પર નહીં આવે તો આગામી સમયમાં જામનગરમાં ખેડૂતોનું આંદોલન નકકી જ છે. ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જિ.પં. નાં પૂર્વ વિપક્ષ નેતા કાસમ ખફીએ આ વિસ્તૃત અને મુદ્દાસરની રજૂઆત મુખ્યમંત્રીને પણ મોકલી છે.