Mysamachar.in:જામનગર
છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ એ બે દિવસ એવાં છે કે, કોઈ પણ ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર ધરાવતી વ્યક્તિને પોતાના વાહન પર રાષ્ટ્રધ્વજ લગાડવાની ઇચ્છા, રાષ્ટ્રપ્રેમને ખાતર થઈ આવે. પરંતુ આ માટે ખાસ નિયમો છે, જે જાણવા આવશ્યક છે. આપણાં દેશમાં કાયદો અને નિયમો એવા છે કે, કોઈ પણ સામાન્ય નાગરિક પોતાના વાહન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે નહીં. આ નિયમો મુજબ, વિશિષ્ટ પદાધિકારીઓને જ આ અધિકાર છે. આજે 74 મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે પરંતુ ઉત્સાહમાં આવી, આપનાં વાહન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ભૂલ ન કરશો. કારણ કે, નિયમ એવો છે કે – સામાન્ય નાગરિકના અંગત અથવા ધંધાદારી વાહન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ રાષ્ટ્રધ્વજનો અનાદર છે.
એક નિયમ એવો પણ છે કે, રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ નિયત માપ ધરાવતી હોય છે. જેની નાની મોટી પ્રતિકૃતિ રાષ્ટ્રધ્વજનું અપમાન છે. આ સાથે જ નિયમ મુજબ, દેશનાં બંધારણ પ્રમાણેની વિશિષ્ટ વ્યક્તિઓ જેવી કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ રાજ્યોના રાજ્યપાલ, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ. ગવર્નર, વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી, વિદેશમાં નિયુકત ભારતીય દૂતાવાસનાં કાર્યાલયનાં પ્રમુખો વગેરે વિશિષ્ટ વ્યક્તિઓ પોતાના સરકારી વાહનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. આ ઉપરાંત લોકસભાનાં અધ્યક્ષ, રાજ્યસભામાં ઉપાધ્યક્ષ, કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોની વિધાનસભાનાં અધ્યક્ષ, સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ તથા દેશમાં હવાઈ મુસાફરી દરમિયાન રાષ્ટ્રપતિ-આટલાં લોકોનાં વાહનો પર જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય છે. અને, આ નિયમના ભંગ બદલ, રાષ્ટ્રધ્વજ નાં અપમાન બદલ ત્રણ વર્ષની જેલસજાની નિયમમાં જોગવાઈ છે.