Mysamachar.in-અમદાવાદ
રાજ્યના લોકો અને લાખો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ હજુ રાજ્યમાં જોઈએ તેટલો વરસાદ થયો નથી. ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન હજુ વરસાદની ઘટ છે. સમગ્ર રાજ્યમાં જોઈએ તો અત્યાર સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. અનેક લોકો સાથે ખેડૂતો ચિંતિત છે અને ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે નિરાશાજનક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 5 દિવસ વરસાદની સંભાવના નથી. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે, ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી.
જો કે 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ સુધી અડધુ ચોમાસુ જતું રહ્યું છે પરંતુ વરસાદની ઘટ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તો બીજી તરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે.