Mysamachar.in:જામનગર
કોઈ પણ બંદરેથી કોઈ પણ ચીજવસ્તુઓની આયાત નિકાસ થતી હોય તે તમામ બંદરોએ ખાસ કરીને પ્રદૂષણ નિયંત્રણ સંબંધે ચોક્કસ ગાઈડલાઈનનું પાલન આવશ્યક હોય છે. સરકારે ખુદે આ ગાઈડલાઈન ફરજિયાત બનાવી છે. પરંતુ જામનગરમાં બધાં જ બંદરો પર, બધું જ બરાબર ચાલે છે – એવું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, તે વાતાવરણ ખુદ શંકાનાં વાદળો સર્જે છે !
બંદરો પર કોલસો, સલ્ફર, સિમેન્ટ, કલિંકર અને બોકસાઈટ તેમ જ મીઠું સહિતની ચીજોની આયાત નિકાસ થતી હોય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ પ્રકારની આયાત નિકાસ થાય છે. આયાત નિકાસ દરમિયાન બંદરો પર પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત તમામ નિયમોનું પાલન થતું હોય એમ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં બંદરો સંબંધિત કોઈ જ ફરિયાદ નથી ! ટૂંકમાં, બધું જ બરાબર ચાલી રહ્યું છે – તંત્રનો કહેવાનો અર્થ આમ થાય છે !
બંદરો પર થતી આયાત નિકાસ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ સંબંધે ધંધાર્થીઓ દ્વારા તથા બંદર સતાવાળાઓ દ્વારા ઘણાં માર્ગદર્શક નિયમોનો, નફો વધારવા – ધંધાકીય ખર્ચ ઘટાડવા, ભંગ થતો હોય છે પરંતુ આવી કોઈ ફરિયાદો તંત્રનાં ટેબલ સુધી ન પહોંચે તે માટે સંબંધિતો સૌ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે, તેનાં માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે – એમ જાણકાર વર્તુળોમાંથી જાણવા મળે છે. ઘણાં બધાં લોકો ઘણી બધી બાબતો જાણતાં હોવા છતાં, જો સર્વત્ર મૌન પથરાયેલું હોય તો સ્વાભાવિક રીતે જ આ વાતાવરણ શંકાનાં વાદળો સર્જે, એ સમજી શકાય તેવી બાબત લેખી શકાય.
બીજો મુદ્દો : જવાબદાર તંત્રોએ (આ કિસ્સામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડે) ગેરરીતિઓ અને અનિયમિતતાઓ અંગે ફરિયાદનો ઈંતજાર કરવાનો હોય ?! તંત્રએ પોતાની ફરજો મુજબ કશું જ ચેકીંગ કરવાનું ન હોય ?! જામનગરમાં આ પ્રકારનું ચેકીંગ કયારેય થતું હોય એવું દેખાતું નથી ! આ બે માંથી એક પણ તંત્રએ ક્યારેય એમ જાહેર કર્યું નથી કે, અમે બંદરો પર ફલાણી બાબતો ચેક કરી અને ચેકીંગ દરમ્યાન કશું જ વાંધાજનક જોવા મળ્યું નથી. તંત્ર વર્ષોથી મૌન શા માટે ?! આ મુદ્દો પણ શંકાઓ જન્માવી શકે તેમ છે.
-આયાત નિકાસ કામગીરી સંબંધે ઘણી બાબતો મહત્વની હોય છે
જે બંદરો પર કોલસા અને સલ્ફર સહિતની ચીજોની આયાત નિકાસ થતી હોય તે બંદરના અંદરનાં વિસ્તારમાં તથા બંદર આસપાસનાં વિસ્તારોમાં બંદર સતાવાળાઓએ ઘનિષ્ઠ વનીકરણ કરવાનું હોય છે. બંદરોનાં લોડીંગ અને અનલોડીંગ પોઈન્ટ સુધીનાં તથા બંદરોનાં આંતરિક માર્ગો ટનાટન હોવા જરૂરી છે જેથી ટ્રાન્સપોર્ટેશન સમયે વાહનોમાંથી આવી ચીજો રસ્તાઓ પર ન ઢોળાય, પ્રદૂષણ ન ફેલાય. આ ઉપરાંત કોલસા જેવી ચીજોની ક્વોલિટી સંબંધે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે માસિક ધોરણે ચેકીંગ અને તેનાં રિપોર્ટ તૈયાર કરવાનાં હોય છે. આ પ્રકારની કામગીરીઓમાં પણ કયારેય, કોઈ અનિયમિતતા કે ગેરરીતિઓ જાહેર થતી નથી ! જેથી જાણકારો ઘણાં પ્રકારની શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભૂતકાળમાં બે ફરિયાદો થયેલી જેનો તંત્ર દ્વારા નિકાલ થયો છે. આ માહિતી વિધાનસભામાં પણ મૂકવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઓખા ગામમાં ખનિજ સંગ્રહ સંબંધિત એક ફરિયાદ ઉઠી હતી. જેનો રેકર્ડ પર નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓખા પોર્ટ સંબંધિત એવી પણ ફરિયાદ થયેલી કે, પોર્ટ પરની પ્રવૃતિઓને કારણે નજીકમાં વસતાં ખેડૂતો તથા ફળદ્રુપ જમીનોને નુકસાન પહોંચી રહ્યું છે. આ ફરિયાદમાં પણ રેકર્ડ પર નિકાલ થયાનું વિધાનસભા ગૃહમાં જાહેર થયું છે.
આ બે ફરિયાદોને બાદ કરતાં સમગ્ર હાલારમાં બંદરો પર પ્રદૂષણ નિયંત્રણ સંબંધે બધું જ બરાબર ચાલી રહ્યું હોવાનું તંત્રનાં વલણ પરથી દેખાઈ રહ્યું છે ! સરકારી તંત્રોનાં વલણો શંકાઓથી પર હોતાં નથી. કેમ કે, મોટી આર્થિક પ્રવૃતિઓ દરમિયાન ઘણી અનિયમિતતાઓ અને ગેરરીતિઓ થતી રહેતી હોવાનું જાણકારો માની રહ્યા છે.