Mysamachar.in-જામનગર
તાજેતરની જ વાત છે કે લાલપુરના પીપળી ગામમાં એક યુવકે તેના પિતાને માથામાં લાકડાનો ધોકો મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે જ પુરાવાઓનો નાશ કરવા લાશને સળગાવી દીધાની ઘટના પરથી પોલીસ પરદો ઊંચક્યો હતો, ત્યાં જ બે દિવસ પૂર્વે રાત્રીના સમયે જામનગર શહેરના ધરાનગર વાડી વિસ્તારમાં કૂવામાંથી અર્ધ સળગેલી હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી અને પીએમ રિપોર્ટમાં ઈજાનું નિશાન જોવા મળતા હત્યાની આશંકા દર્શાવીને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી હતી, અને અંતે પોલીસને પ્રાથમિક રીતે લાગેલ શંકા સાચી ઠરીને મળી આવેલ લાશના કિસ્સામાં હત્યા થયાનું સામે આવતા પોલીસે 3 મહિલા સહીત 6 સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે…
જામનગરના ધરાનગરના ફોરેસ્ટ ક્વાર્ટર પાછળના અવાવરૂ કૂવામાંથી બે દિવસ પૂર્વે રાત્રિના સુમારે અર્ધ સળગેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડની ટીમની મદદથી લાશ બહાર કાઢી પોલીસ દ્વારા પીએમ માટે મોકલી આપવામાં આવી હતી પીએમ શોર્ટ નોટમાં ઈજાનુ નિશાન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે વીસેરા લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ મામલે સીટી બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે.ભોયે સહિતની ટીમ દ્વારા જુદી-જુદી દિશાઓમાં તપાસ ચલાવવામાં આવી રહી હતી… જો કે મરણ જનાર ગુમ થયાની નોંધ પણ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં થઇ હતી, ગુમ થનાર અંગેની પોલીસ તપાસ કરી રહી તે દરમિયાન પોલીસને ચોક્કસ કડી મળી હતી અને મરણ જનારની ઓળખ થઈ હતી જેમાં મરનાર લલીતભાઈ સોંદરવા 28 વર્ષીય હોવાનું બહાર આવ્યું હતું.
ઓળખ થતાં કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી જેમાં મરણજનાર લલીતભાઇને તેના સાળા વિપુલભાઇના પત્ની ભાનુબેન સાથે આડા સબંઘ હોય જેના કારણે મરણજનાર આરોપીના ઘરે જતા પાલાભાઇ અરજણભાઇ કટારીયા, વિપુલભાઇ પાલાભાઇ કટારીયા અશ્વીનભાઇ પાલાભાઇ કટારીયા, વસંતાબેન લલીતભાઇ રામજીભાઇ સોંદરવા, જયાબેન પાલાભાઇ અરજણભાઇ કટારીયા, ભાનુબેન વિપુલભાઇ પાલાભાઇ કટારીયા રહે.બઘા વુલનમીલ ઝુપડપટી સીઘ્ઘાર્થનગર શેરી નં.3 જામનગર લલીતભાઇનુ કોઇપણ રીતે મોત નીપજાવી લાશને ઘરારનગર પાસે આવેલ કુવામાં નાખી લાશ સળગાવી મરણજનારનુ મોત નીપજાવી પુરાવાનો નાશ કરી એકબીજાની મદદગારી કરી હોવાની મૃતકના ભાઈની ફરીયાદ પરથી સીટી બી ડીવીઝન પોલીસ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.