Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં હમણા એક ચર્ચાસ્પદ મુદ્દો ચાલી રહ્યો છે, અને તે મુદ્દો મનપાના ટેક્સ ઓફિસર જી.જે.નંદાણીયાનો છે, ટેક્સ ઓફીસરની ખુરશી પર ચીપકી બેઠેલા નંદાણીયા કઈ રીતે શું સમુંનમું થઇ શકે તે આવડતા ધરાવતા હોય તેમને કરેલ કારનામાઓના એક બાદ એક રીપોર્ટ કમિશ્નરને કરવામાં આવી રહ્યા છે, અને આ મામલે તપાસ વેગ પકડી રહી છે, ત્યારે ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા કમિશ્નરને જે બીજો અને પુરાવાઓ સહિતનો ખળભળાટ મચાવનારો અહેવાલના વધુ કેટલાક મુદ્દ્દાઓ પર પણ ચોકાવનાર અને મનપાના આર્થિક નુકશાની કરનાર હોવાનું સામે આવ્યું છે, ટેક્સ ઓફિસરે પોતાની કઈ રીતે શાખામાં ચલાવી અને મનપાને નુકશાન કર્યું છે તે સામે આવે છે જો કે આ મામલો હાલ તપાસને આધીન છે, અને આ મામલે સંપૂર્ણ તપાસ થયા બાદ શું સામે આવે છે તે કદાચ ચોકાવનારું પણ હોય શકે…
બીજા ખાનગી રીપોર્ટના વધુ કેટલાક અંશો પર નજર કરતા તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કારપેટ એરિયા આધારીત મિલ્કતવેરાની પધ્ધતિના રાજય સરકાર દ્વારા મંજુર થયેલા નિયમો પૈકી નિયમ-26 ના પેટા નિયમ-3માં લાગુ પડતા વિસ્તારોને જમીનની અંદાજીત બજાર કિંમત તથા જે તે વિસ્તારના વર્ગને ધ્યાને લઈ સ્થળ પરિબળો નિયત કરવામાં આવેલ છે અને આ નિયત કરવામાં આવેલ સ્થળ પરિબળો અનુસાર સ્થળ પરિબળોના ભારાંક નિયત કરવામાં આવેલ છે. સ્થળ પરિબળોમાં કુલ 1 થી 5 ઝોન નિયત કરવામાં આવેલ છે. જેમાં સમૃધ્ધ વિસ્તાર, સારો વિસ્તાર, ઉચ્ચ મધ્યમ વિસ્તાર, મધ્યમ વિસ્તાર અને નબળો વિસ્તાર, આ નિયત થયેલ ઝોનમાં આવતી મિલ્કતોની અરજીઓ અન્વયે જે તે મિલ્કતની અપડેશન જે-તે ઝોનમાં નિયત થયેલા સ્થળ પરિબળો જેમ કે L-1, L-2, L-3, L-4, L-5, ધ્યાને રાખી અપડેશન કરવાનું રહે છે પરંતુ ટેકસ ઓફિસર દ્વારા નિયત થયેલ ઝોનમાં મનસ્વી રીતે સ્થળ પરિબળો અપડેટ કરવામાં આવેલ છે.
L-2ના નિયત થયે ઝોનમાં L-4 અને L-3, અપડેટ કરતા મહાનગરપાલિકાને સીધી જ આર્થિક નુકશાની વહન કરવાની થયેલ છે. આ પ્રકારના એક જ ઝોનમાં કરવામાં આવેલ અલગ-અલગ અપડેશનોના સી.એમ.એલ.ની નમૂનારૂપ નકલો આ રીપોર્ટ સાથે ફાઈલ આંક 160 થી 190 પર સામેલ રાખેલ છે. આ ઉપરાંતના અન્ય કિસ્સાઓમાં પણ તપાસ જરૂરી બની રહે છે. કારપેટ એરિયા આધારીત મિલ્કતવેરાની પધ્ધતિમાં રહેણાંક ઈમારતોના પ્રકારનું પરિબળ નિયત કરવામાં આવેલ છે. જેમાં આરટી-1 થી આરટી-5 સુધીની કેટેગરી અને તેના ભારાંક પણ નિયત કરવામાં આવેલ છે.
જયારે કોઈપણ એક મિલ્કત RT-1 તરીકે અપડેટ કરવાની થતી હોય ત્યારે એ મિલ્કતના અલગ-અલગ ભાગ કરી RT-1 અને RT-5 એમ બે કેટેગરીમાં અપડેટ ન થઈ શકે. RT-1 સ્વતંત્ર બંગ્લામાં પણ RT-5 ઝૂંપડાની કેટેગરીઓ સાથે અપડેટ કરવામાં આવેલ છે. નમૂનારૂપ સી.એમ.એલ.ની નકલો આ રીપોર્ટ સાથે ફાઈલ આંક 191 થી 196 પર સામેલ રાખવામાં આવી છે, જો કે આ ઉપરાંતના અન્ય કિસ્સાઓમાં પણ તપાસ જરૂરી બની રહે છે. આમ મનપામાં ચકચાર જગાવનાર બે બે રીપોર્ટ બાદ હવે આ મામલે તપાસનીશ અધિકારી શું તપાસ કરશે અને શું રીપોર્ટ સામે આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. જો કે આ તપાસ બાદ પણ કઈક નવા જૂની થશે તે વાત મનપાના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
-આ મામલે રીપોર્ટ કરનાર અધિકારી જીગ્નેશ નિર્મલે કહ્યું કે..
આ મામલે જેને આધાર પુરાવાઓ સાથે ધગઘગતા બે રીપોર્ટ કમિશ્નરને કર્યા છે, તે ઇન્ચાર્જ આસી. કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે ટેક્સ ઓફીસરની કરામતો અને તેનાથી મનપાને થઇ રહેલ આર્થિક નુકશાન બાબતે મેં આધાર પુરાવાઓ સાથેના અહેવાલ મને જે ગેરરીતિઓ જણાઈ આવી તેને ઉજાગર કરતા રીપોર્ટ કર્યા છે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.