Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખા દ્વારા વર્ષે કરોડો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવે છે, પણ વિકાસ કોનો થાય છે, તે સૌ મહાનગરપાલિકામાં જાણે છે. અને માલ મિલકતો લગત સૌ કોઈની વધતી જાય છે, જેમાં એસીબીની ઝીણવટભરી તપાસ થાય તો મોટા કડાકા ભડાકા થાય તેવી ભીતિ પણ જાણકાર સુત્રો વ્યક્ત કરે છે, એવામાં સિવિલ શાખા દ્વારા વર્ષ દરમિયાન જે કામો થાય છે તેના અંગે વર્ષોથી ઓડીટ વિભાગ દ્વારા એક સરખી જ વિગતો પૂછવામાં આવે છે અને સિવિલ શાખા આવી વિગતો ક્યારેય આપતું જ નથી, શા માટે તેની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશ્નર સહિતના અધિકારીઓ ખબર લેવી જોઈએ…
દરવર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ ઓડીટ વિભાગ દ્વારા વર્ષ 2019/20 ના અહેવાલમાં જાણ કરાઈ છે કે આ મુદ્દાઓની માહિતી સિવિલ શાખા દ્વારા આપવામાં આવી નથી હવે તમે જ આ મુદ્દાઓ વાંચીને કહો કે આવી માહિતી સિવિલ શાખા પાસે ના હોય તેવું બને ખરા…? હા એવું બને કે કોન્ટ્રાકટરો સાથે કુલડીમાં ગોળ ભેગા બેસીને ભાંગતા હોય તો જ આવું બને કે ખુદ ઓડીટને જવાબ ના આપે અને બચ્યા કરે અને કોઈ સક્ષમ જવાબ ના માંગી શકે અને જો કોઈ આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તપાસ માંગવાની પેરવીમાં હોવાનું પણ જાણવા મળે છે.
-વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટલી કરવામાં આવેલ કામ અંગે કામ વાઈઝ ખર્ચની વિગત લાગેલ દિવસો અને રોકવામાં આવેલ માણસોની વિગતો (શું આ માહિતી વિભાગ પાસે ના હોય તેવું માની શકાય ખરા)
-વર્ષ દરમ્યાન અપાયેલ વર્ક ઓર્ડર પૈકી વપરાયેલ સિમેન્ટ અંગે સિમેન્ટ વપરાશ પત્રક
-વર્ષ દરમ્યાન અપાયેલ વર્ક ઓર્ડર પૈકી (ટેન્ડર કામ) અધુરા છોડેલ કામોની યાદી
-વર્ષ દરમ્યાન ગેરરીતી-ઉચાપત-નબળા બાંધકામ અંગે કોઇ કોન્ટ્રાકટરને ડીબાર કરવામાં આવેલ હોય તો તેની વિગત (આવું તો કદાચ ભેગા બેસીને ગોળ ભાંગતા હોય નહિ કર્યું હોય)
-વર્ષ દરમ્યાન મુળ કોન્ટ્રકટરના હિસાબે અને જોખમે જે કામના ટેન્ડરો બહાર પાડવામાં આવેલ હોય તે અંગે મુળ કોન્ટ્રાકટરના કામની ખર્ચની વિગત તથા નવેસરથી ટેન્ડર માગતા થયેલ વધારાનો ખર્ચ અને આ ખર્ચની વસુલાત માટે કરવામાં આવેલ કાર્યવાહીની વિગત તાદુપરત અહેવાલ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ ખરીદી-પુર્ણ કરવામાં આવેલ વર્ક કોન્ટ્રાકટરના કામો જેની નોંધ સ્થાવર-જંગમ મિલ્કત રજીસ્ટરે કરવામાં આવેલ હોય તેની માહિતી રેકર્ડ અનુસાર રજુ કરવા અંગે
ઉકત માહિતી રેકોર્ડ ઓડીટ અહેવાલ સબંઘે શાખા પાસે પત્ર, રીમાઈન્ડર, આખરી પત્ર અન્વે વારંવાર માગવા છતા શાખા દ્વારા આ અંગે કોઇ જ માહિતી કે રેકોર્ડ રજુ કરવામાં આવેલ નહિ કે આ અંગે કોઇ જ માહિતી રજુ કરી શકાયેલ નથી કે આ અંગે કોઇ જ રીમાર્કસ આપી શકાય તેમ નથી જો કે આવું પહેલી વખત નથી બન્યું દરવખતે ઓડીટ રીપોર્ટ પર નજર કરવામાં આવે તો સિવિલ શાખાની મનમાની વર્ષોથી ચાલી આવે છે. તે વાત સ્પષ્ટ છે.