Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ખુબ મહત્વની એવી મિલકત વેરા શાખાના ટેક્સ ઓફિસર જી જે નંદાણીયા વિરુદ્ધનો બીજો પણ પહેલા રીપોર્ટથી વધુ ધગધગતો અને પુરાવાઓ સાથેનો અહેવાલ મનપાના ઇન્ચાર્જ આસી.કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મળ દ્વારા કમિશ્નરને સાદર કરવામાં આવતા આ મામલો ફરી ચર્ચાના એરણે ચઢ્યો છે, અને મનપામાં એક જ વિષય ચર્ચાઈ રહ્યો છે કે આટલા આધાર અને પુરાવાઓ સાથેનો પહેલા અહેવાલ બાદ પણ થવી જોઈતી કાર્યવાહી કે તપાસ દિવસોના દિવસો વીતી ગયા છતાં વેગ નથી પકડતી ત્યાં જ બીજો અતિ સનસનીખેજ રીપોર્ટ જેમાં 5 પેજનો વિસ્તૃત ચિતાર અને 196 પેજ પુરાવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આટલા ચોક્કસ અને પુરાવાઓ સાથેનો રિપોર્ટ છતાં પગલા લેવામાં કેમ ઢીલ થઇ રહે છે તે ચર્ચાઓ શરુ થવા લાગી છે, કારણ કે ભાઈ નંદાણીયા એવું કહેતા હોય છે કે મારો વાળ પણ વાંકો ના થાય.. જો ખરેખર વાળ વાંકો ના થવાનો હોય તો બીજો રીપોર્ટ રોકાવવાના ધમપછાડા સફળને બદલે નિષ્ફળ સાબિત થયા છે, અને હવે પગલાની દિશામાં તપાસ જશે, ત્યારે સુત્રો જણાવે છે કે પહેલો રીપોર્ટ બાદ બીજો રીપોર્ટ કરતા અતિ ગંભીર છે તેમાં ઇન્ચાર્જ આસી.કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મળ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે….
ટેકસ શાખા દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નીતિ અનુસાર કોઈ પણ નવી મિલ્કતોને અપડેટ કરતાં પહેલા ન્યુ એસેસમેન્ટ વિભાગમાં અરજીઓ મોકલવાની રહે છે. ન્યુએસેસમેન્ટ વિભાગ દ્વારા સર્વે, એસેસમેન્ટ નોટિસ-વાંધાનો નિકાલ ત્યાર બાદ બિલીંગની પ્રક્રિયા હાથ ધરવાની રહે છે. જયારે સામેલ પત્રકમાં દર્શાવવામાં આવેલ કિસ્સાઓમાં આવી પ્રથા અમલમાં મૂકવામાં આવેલ નથી અને શાખા દ્વારા જ મિલ્કતો સીધી જ લાઈવ સર્વરમાં અપડેટ કરવામાં આવેલ છે. જે નિયમાનુસાર નથી. આ મિલ્કતોની તપાસ કરતાં ટેક્સ ઓફિસર દ્વારા માત્ર લે-આઉટ ઉપરથી જ મિલ્કતો ઓપન પ્લોટ તરીકે અપડેટ કરવામાં આવેલ છે.
જ્યારે વાસ્તવમાં આ સ્થળો ઉપર હયાત બાંધકામ ઉપલબ્ધ છે. આ બાંધકામોની રજાચીઠ્ઠી ટાઉન પ્લાનીંગ શાખા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. લે-આઉટ ઉપરથી સીધુ જ લાઈવમાં અપડેટ થતાં આ મિલ્કતોનો સર્વે જ થયેલ નથી. જો એસેસમેન્ટ વિભાગમાં મોકલવામાં આવેલ હોત તો સ્થળ તપાસ થયા બાદ બાંધકામ પણ અપડેટ ત્યારે જ થઈ ગયેલ હોત. હવે જે અપડેટ કરવામાં આવેલ નથી તેનો ટેક્સ તો ગુમાવેલ છે જ પરંતુ ત્યારબાદ જ્યારે અપડેટ કરવામાં આવશે ત્યારે વ્યાજની આવક પણ ગુમાવવી પડશે. સીધુ જ લાઈવમાં અપડેટ કરવામાં આવેલ તમામ કેસોની વિગતો પણ બીજા રિપોર્ટ સાથે સામેલ રાખવામાં આવી છે, આ પણ તપાસ અન્વયેના કિસ્સાઓ જ આ સાથે સામેલ રાખેલ છે. આ ઉપરાંતના અન્ય કિસ્સાઓમાં પણ તપાસ જરૂરી બની રહે છે.
ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ દ્વારા ઓફીશ્યલ રિપોર્ટ તા.18-5-21ના આપ્યા બાદ (આ બાબતનો વોટ્સએપ મેસેજ તા.10-5-21ના જ આપવામાં આવેલ) પણ તા.10-5-21 થી તા.20-7-21 સુધીમાં અંદાજીત 1600 જેટલી મિલ્કતોમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ મિલ્કતમાં કોઈ પણ જાતના ફે૨ફા૨ કર્યા પહેલા એસેસમેન્ટ વિભાગમાં નિયત પ્રોસીજર પૂર્ણ કરાવી ત્યારબાદ જ અપડેટ કરવા લેખિતમાં જણાવેલ હોવા છતાં પણ આ બધી મિલ્કતોમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. અને ઉપરી અધિકારીના લેખિતમાં હુકમ હોવા છતા પણ ફેરફારની પ્રક્રિયા મનસ્વી રીતે કરવામાં આવેલ છે. આ સિવાયના આ રિપોર્ટના ચકચારજનક અને મનપાને નુકશાન પહોંચાડનાર મુદ્દાઓ આગામી દિવસોમાં સામે આવશે પરંતુ બીજો રિપોર્ટ સાદર થતાની સાથે જ નંદાણીયાને રાહત મળી તેવી વાતો પણ પાણી ફરી વળ્યું છે અને આગામી દિવસોમાં આ મામલે કડાકા ભડાકા થવાના એંધાણ છે.