Mysamachar.in-જામનગર:
સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા અપાયેલ માહિતીના આધારે સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી તા.05/06/2021ના રોજ યોજાનાર બાળલગ્ન અટકાવ્યા હતા.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરશીયાએ જણાવ્યુ હતુ કે, એક જાગૃત નાગરીક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા અમને જામનગર શહેરના બાવરીવાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં તા. 05/06/2021ના રોજ યોજાનાર લગ્ન બાળ લગ્ન હોવા અંગેની જાણ કરાઈ હતી. જાણકારીના આધારે અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીર પોરેચા, પ્રોબેશન ઓફિસર મનોજ વ્યાસ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સના હરણ, ચાઈલ્ડ લાઈન-1098 અને પોલીસની ટીમને સાથે રાખીને બાવરી વાસ, ખાતે પહોંચ્યા હતા. ઘટના સ્થળે તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે 21 વર્ષ અને 15 વર્ષ હોવાનું જણાયું હતું.
જેથી સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે તા 05/06/2021ના રોજ થનારા લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.
-બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરૂધ્ધ
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક-યુવતી સહિત તેમના માતાપિતા કે વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.