Mysamachar.in-જામનગર:
જામનગર શહેર દિવસે દિવસે વિસ્તાર પામી રહ્યું છે. વાહનોની સંખ્યા તથા અવરજવર પણ વધી રહ્યા છે. આ ઉપરાંત રેલવે ટ્રેક શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતો હોય, વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં સરકારનો અભિગમ પણ ફાટક મુક્ત શહેરનો છે અને આ સુત્રને જામનગર મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ પ્લાનીગ વિભાગ અમલી બનાવી જામનગર શહેર કઈ રીતે ફાટક મુક્ત બની શકે તે દિશામાં ફ્લાયઓવર બ્રીજ અને અન્ડર બ્રીજની દિશામાં આગળ ધપી રહ્યો છે.અને એક બાદ એક પ્રોજેક્ટ જે પદાધિકારીઓ સરકારમાંથી મંજુર કરાવી લાવે તેને પ્રોજેક્ટ પ્લાનીગ વિભાગ આગળ વધારે છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ નિર્માણ માટેની કામગીરી છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં શહેરના હાપા નજીક રેલ્વે ઓવર બ્રીજ શહેરીજનોની સુવિધામાં વધારો કરશે જેનું કામ હાલ પુર ઝડપે પણ ગુણવતા સાથે ચાલી રહ્યું છે. જેમાં સર્વિસ રોડનું કામ પૂર્ણ થતા હવે ફાઉન્ડેશનના ખોદાણનું કામ શરુ થઇ ચુક્યું છે,
હાલમાં કાલાવડ નાકા બહારનાં વિસ્તારોનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. મહાપ્રભુજી બેઠક નજીક નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થતાં હવે આ વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી થશે. આ તમામ વિસ્તારોનાં વાહનો સરળતાથી રાજકોટ રોડ પર પ્રવેશ તથા નિકાસ મેળવી શકે, યાર્ડમાં અવરજવર કરતાં હજારો વાહનો રેલ્વે ક્રોસિંગ પરની વાહનોની લાંબી કતારોમાંથી મુક્તિ મેળવી શકે તથા શહેરને ફાટકમુક્ત બનાવવાની દિશામાં એક વધુ પગલું ભરી શકાય તથા એ રીતે અકસ્માતો તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી પૂરવાર થશે.
જામનગર મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અંકલેશ્વરની રચના કન્સ્ટ્રકશન નામની પેઢીને સોંપ્યો છે. વર્ષોથી આ કંપની ફ્લાયઓવર, ઓવરબ્રીજ, અન્ડરબ્રીજના નિર્માણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.અને હાલ જામનગરમાં નિર્માણ પામી રહેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ પણ આ કંપની દ્વારા જ આધુનિક મશીનીરી અને બહોળા મેન પવાર સાથે રાત દિવસ કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદની કંપની પંકજ એમ. પટેલ કન્સલ્ટન્ટસ પ્રા. લિ. છે.
જામનગર મનપાના પદાધિકારીઓની રાહબરી હેઠળ કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શનમાં ડીએમસી ભાવેશ જાની અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની દ્વારા આ પ્રોજેક્ટ પર જરૂરી દેખરેખ રાખી કામ ચોકસાઈપૂર્વક થાય તેનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.કોઈપણ કામ જે શહેરના લોકોની સુખાકારી માટે થઇ રહ્યું છે. તેમાં સલામતી અને ગુણવતાના માપદંડો જરૂરી છે જેનું અહી સુચારુપણે પાલન થઇ રહ્યું છે. હજારો નગરજનો તથા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી યાર્ડ ખાતે આવતા જતાં હજારો વાહનચાલકો માટે આ પ્રોજેક્ટ ખૂબ જ આશિર્વાદરૂપ પૂરવાર થશે
-આ રહી ઓવરબ્રિજની ટેકનિકલ વિગતો
કુલ લંબાઈ: 733.86 મીટર
રેલ્વે પોર્શન: 111.84.92 મીટર
એપ્રોચ પોર્શન: 603.42 મીટર (બંને તરફનાં કુલ મીટર)
બ્રિજની પહોળાઈ: 12 મીટર
બ્રિજની કલિયર ઉંચાઈ: 8.705 મીટર
બ્રિજની બંને બાજુ સર્વિસ રોડની પહોળાઈ: 6.50 મીટર