Mysamachar.in-જામનગર
જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે. ત્યારથી તે રોગથી બચવા કે કોરોના ન થાય તે માટે જે સાવચેતી રાખવાની છે તેની અવિરત જાણકારી, સૂચનાઓ, ગાઈડલાઈન્સ વગેરે આપણને મળતું રહે છે. પરંતુ આપણે તેનું પાલન કરવામાં કચાશ અને હવે તો બધો ખ્યાલ હોવા છતાં ભારોભાર બેદરકારી રાખવામાં જરાય પાછળ હોય એવું નથી. એનું પરિણામ આપણે ચોક્કસપણે ભોગવી રહ્યા છીએ. તેમાં જરાય અતિશયોક્તિ ક્યાં છે! કોરોનાથી બચવા માટે સામાન્ય રીતે માસ્ક પહેરવું, દૂરી રાખવી, હાથ સાફ રાખવા વગેરે જેવી સાવચેતીઓ રાખવાની છે.
તેનાથી ખરેખર આપણે આ રોગના વાયરસના સંક્રમણમાં આવવાથી બચી શકીએ છીએ. તેમજ કોરોના થવાથી બચી શકીએ તેમ છીએ. લોકો માનતા નથી તેથી સરકારે આ સમયમાં સોશિયલ ડીસ્ટન્સ રાખવું, સેનિટાઈઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું એ બધું ફરજિયાત કર્યું છે. લોકો પાસેથી સરકારે આ સમયમાં જો તેનું ન પાલન થાય તો દંડની કાર્યવાહી પણ હાથ ધરી છે. જેમાં પહેલાં મહાનગરપાલિકા અને હવે પોલીસને આ સાવચેતીના નિયમો ભંગ કરવા બદલ દંડ લેવાની સત્તા સરકારના માધ્યમથી તેઓ ધરાવે છે. જેઓ આ સમયમાં પોતાના જીવના જોખમે પણ ખડેપગે રહીને રોગનું સંક્રમણ ફેલાતું અટકાવવામાં કાર્યરત રહે છે.
લોકડાઉનના વખતમાં 200 રૂ. દંડ હતો જે ક્રમશ: 500 અને અત્યારે અનલોકમાં 1000 સુધી લેવામાં આવે છે. તેમ છતાં લોકો માસ્ક બાબતે ગંભીર નથી., 10-20 રૂપિયાના માસ્ક ન પહેરવાના માટે આટલો મોટો દંડ શા માટે ભરવો જોઈએ. માસ્ક વિના પકડતા લોકો સામે જ્યારે પગલાં ભરવામાં આવે ત્યારે તે પ્રશાસન સામે સહકાર આપવાની જગ્યાએ કેટલાક કિસ્સાઓમાં ઘર્ષણમાં ઉતરે છે. જે રીતે જાણવા મળે છે તે પ્રમાણે જામનગર શહેરમાં જ હાલમાં રોજનો અઢી લાખ જેટલો દંડ માસ્ક ન પહેરવાના ભંગનો લેવાય છે. એટલે રોજ લગભગ જાહેરમાં જ 250 ઉપર લોકો માસ્ક પહેરીને નીકળતા નથી. અને સ્વયમ શિસ્ત જાળવતા નથી તે આ દંડની રકમ પરથી ફલિત થાય છે, આવા આંકડાઓ વચ્ચે માત્ર તંત્રને કોસવાથી કાઈ નહિ થાય આપને પણ આગળ આવવું પડશે…
જામનગર જિલ્લામાં આ કારણે જ અત્યારે રોજના ત્રણ આકડામાં કોરોનાના કેસો આવી રહ્યા છે અને શહેરમાં તો રોજના 100થી વધુ કેસો આવે છે. જો આમને આમ થતું રહેશે તો એ દિવસ દૂર નથી કે કોઈ ઘર કોરોના સંક્રમણથી બાકી હોય! હવે આપણે સહુએ બહુ જ સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની અતિ આવશ્યકતા છે. જ્યાં પણ જવાનું થાય રાખીએ આ વાતોનું ધ્યાન સોશિયલ ડીસ્ટન્સ રાખીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, માસ્ક પહેરીએ અને રાખવાની દરેક સાવચેતી રાખીએ. કોરોનાથી બચીએ અને તેનું સંક્રમણ ફેલાતું અટકાવીએ. સ્વયંશિસ્ત રાખી જાગૃત્ત બનીએ, નહિતર પોલીસ અને મહાનગરપાલિકા દંડની વસુલાત કરીને છૂટી જશે પણ તમે ક્યાંક ને ક્યાંક જાગૃતતા ને અભાવે કોરોનામાં સપડાઈ જશો.