Mysamachar.in-જામનગર
સૌરાષ્ટ્રના તમામ વિસ્તારને આવરી લેતી સૌની યોજનાની કામગીરી સરકારનું ઉત્તમ પગલું છે, પણ આ સરાહનીય યોજનાને સરકારી બાબુઓ ઠેકેદારો ભેગા મળીને સરકારની આબરૂને બટ્ટો લગાડી રહ્યા હોય તેમ ગતવર્ષે જામનગરના કાલાવડના કેટલાક ગામો તેમજ રાજકોટના કેટલાક ગામોમાં સૌની યોજનાની પાઈપલાઈનો જમીનમાં થી જાણે ભ્રષ્ટાચાર ઉછળીને બહાર નીકળી રહ્યો હોય તેમ બહાર આવી જતા આ બાબત મોટો ચર્ચાનો વિષય બન્યા હતા, અને કેટલાય દિવસો સુધી સરકારે આ બાબતે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, આક્ષેપો તો આજે પણ એવા જ થાય છે કે જામનગર જીલ્લાના કાલાવડ નજીક ચાલી રહેલા કામોમાં કથિત ભ્રષ્ટાચાર મીલી ભગતથી આચરવામાં આવી રહ્યો છે, અને ગુણવતા યુક્ત કામગીરી નિયમમુજબ કામગીરી કરવાને બદલે સસ્તું પડે તેમ કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે,
એક તો ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીમાં બાબુઓ અને ઠેકેદારો ભેગા મળીને મોજ કરી રહ્યા છે, અને ખોદાણ સહિત કામગીરીમાં ઠેર-ઠેર કથિત ભ્રષ્ટાચાર થયો હોવાના કેટલાક સ્થાનિકોના આક્ષેપો છે, અને કંપની અને પેટા કોન્ટ્રાકટરો સાથે અધિકારીઓ મળી ને સરકારની આંખ આડા કાન કરાવી સૌરાષ્ટ્રની આ સૌની યોજનામાં લોટ પાણી ને લાકડા કરાવી પૂર્ણ કરાવવાની તૈયારીમાં હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, સિંચાઇ વિભાગના અધિકારીઓની મીઠી નજર હેઠળ સૌની યોજનાની કામગીરીમાં પાઇપ લાઇનના ખોદાણ કરી તળીએ ફીલીંગ રેતી કે એન કેસીંગ કરવામાં આવતું જ નથી તેમજ પાઇપનું કોન્ક્રીટ એટલે કે સેન્ડ બેડીંગ પણ કરવામાં આવતું નથી જેથી પાઇપ જેમ ગયા વર્ષે જમીનમાં થી બહાર આવી ગયા હતા તેમ આ વર્ષે પણ બહાર આવી જવાની પૂરે પૂરી શક્યતાઓ જાણકારો સેવી રહ્યા છે.
-કરોડોનું કામ માત્ર સ્થાનિક તંત્રને ભરોશે કેમ…? આકસ્મિક તપાસની પણ જરૂર
સૌની યોજના એ કોઈ નાનું સુનું કામ નથી માટે સ્થાનિક કચેરીને ભરોશે સરકારે આ કામ છોડી દીધું છે, પણ ખરેખર આ યોજનાની કામગીરી જ્યાં પણ ચાલી રહી છે ત્યાં સ્પેશીફીકેશન મુજબના કામો થાય છે કે કેમ શું ગેરીરીતીઓ થાય છે કે કેમ..? ખરેખર આસપાસના સ્થાનિકો આક્ષેપો કરે છે તેમાં તથ્યો છે કેમ તે તમામ ગાંધીનગર વડી કચેરી કે અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ મારફત આકસ્મિક તપાસ થાય તો વધુ સત્ય બહાર આવી શકે.