Mysamachar.in-અમદાવાદ
રાજ્યસભાની ચુંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપતા તેની ખાલી થયેલ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. જે બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પરાજયનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસ ભવન પર પત્રકારો સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની સત્તા લાલસાના કારણે કોરોના કાળમાં આ પેટાચૂંટણી આવી છે. રાજ્યના લોકો મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતાથી લોકોમાં આક્રોશ છે.
ત્યારે આઠે આઠ વિધાનસભા વિસ્તારમાં જે લોકોએ જનાદેશનું અપમાન કર્યું, પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો એવા લોકોને પ્રજા સબક શીખવાડશે એવી અપેક્ષા હતી લોકશાહીમાં ભાજપે સામ,દામ,દંડની નીતિથી સત્તા અને પૈસાનો દુરુપયોગ સામે પ્રજા આક્રોશમાં મતદાન કરશે પણ જે લોકોએ ગદ્દારી કરી એ લોકોનો જ વિજય થયો.
અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે આપણે સૌએ સ્વીકારવું પડે કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે.અને આ પેટાચૂંટણીમાં જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે, એનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ. પ્રજાનો આક્રોશ અને અમારા કાર્યકરોની મહેનતને અમે મતમાં કેમ પરિવર્તિત ના કરી શક્યા એના કારણોનો અભ્યાસ પણ કરીશું.અને જ્યાં કમીઓ રહી ગઈ છે, તેમાં સુધારો કરીને આગળ પણ વધીશું. અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી જાહેર જીવનમાં ચૂંટણીઓમાં હારજીત થયા કરે તેવી વાત તેવોએ પત્રકારો સાથેની વાતચીતમાં કરી .