Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે શહેરમાં ચેકીંગ દરમ્યાન ખાદ્ય-પેય પદાર્થોના ત્રણ ધંધાર્થીઓને ત્યાંથી લીધેલાં નમૂનાઓનાં લેબોરેટરી રિપોર્ટ આવ્યા, જેમાં જણાયું કે – આ પદાર્થો સબસ્ટાન્ડર્ડ એટલે કે ઉતરતી ક્વોલિટી ધરાવે છે, જેથી આ ત્રણ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સોળ નમૂનાઓ એક અલગ ઝૂંબેશ દરમિયાન એકત્ર કરવામાં આવ્યા છે.
ફૂડ શાખાએ જણાવ્યું છે કે, ત્રણ દરવાજા નજીકથી ભેરૂ આઈસ્ક્રીમ લચ્છી, કાલાવડ નાકા રોડ પરની હિંદુસ્તાન ડેરી તથા લીમડાલાઈન વિસ્તારમાંથી અશોક બેકરીને ત્યાંથી કેક-ભેંસનું દૂધ વગેરે જે ત્રણ નમૂનાઓ લેવામાં આવેલાં તેનાં રિપોર્ટ અનુસાર, આ નમૂના સબ સ્ટાન્ડર્ડ સાબિત થયાં છે. આથી DOની મંજૂરી મેળવી આ ત્રણ ધંધાર્થીઓ વિરૂદ્ધ કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને સંબંધિત અધિકારી સમક્ષ મૂકવામાં આવ્યા છે. જે કેસોમાં હવે દંડનીય સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ફૂડ શાખાએ નગરનાં ગ્રેઈન માર્કેટ, જૂનાં રેલવે સ્ટેશન, હવાઈ ચોક, ખંભાળિયા નાકા વિસ્તાર તથા પટેલ કોલોની, રણજીતનગર, ઈન્દિરા માર્ગ તથા રણજિતસાગર રોડ વિસ્તારમાંથી જુદાં જુદાં ધંધાર્થીઓને ત્યાંથી અડદીયા-સાની-ચિકકી તથા ખજૂર સહિતની ચીજોના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ નમૂનાઓ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.