Mysamachar.in-જામનગર
એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવથી વાહન ચાલકો તો રાડ પાડી ગયા છે, ઉપરથી તેના કારણે મોંઘવારી પણ વધે છે તેવામાં ગરીબોના ચુલા ટાર્ગેટ હોય તેમ કેરોસીનના ભાવ પણ વધ્યા છે, લોકડાઉન ખુલ્યા બાદ અનલોકમાં એક તરફ મોંઘવારી પણ વધી રહી છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો થતા દેકારો બોલી ગયા બાદ રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા કેરોસીનમાં ભાવ વધારો લાવતા જામનગર જિલ્લાના ગરીબ પરિવારોના બી.પી.એલ. તેમજ અત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવતુ કેરોસીન હવે મોંઘુ કરીને સીધો 7થી 8 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
પુરવઠાના સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં કંડલા બંદરથી ટ્રાન્સપોર્ટ મારફત કેરોસીન પહોંચાડવા માટે જામનગર જિલ્લાના જુદા-જુદા તાલુકાના અલગ- અલગ ભાવો સાથે હાલમાં 1 લીટરના 27 રૂપિયા જેવો ભાવ વધારો થવા પામ્યો અને દરેક તાલુકાના કેરોસીન ફાળવણીના ભાવોમાં 7થી 8 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. દરમિયાન જામનગર જિલ્લામાં મોટી સંખ્યામાં બી.પી.એલ. અને અત્યોદય કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને આ ભાવ વધારાની અસર પડશે અને લોક ડાઉનમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યુ હોવાથી આ ભાવ વધારાથી દેકારો બોલી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારના રેશનકાર્ડ ધારકો પર દર મહીને અપાતા કેરોસીનના ભાવમાં સરેરાશ સીધો જ 55 ટકા જેવો તોતીંગ ભાવ વધારો લાગુ કરતા દેકારો બોલી જવા પામ્યો છે અને કેરોસીનમાં લીટરે 7થી 8 રૂપિયાનો ભાવ વધારાથી જામનગર જિલ્લાના બી.પી.એલ. અને અત્યોદય કાર્ડ ધારકોને લાખો રૂપિયાનો ડામ આવ્યા છે આમ એક બાજુ સરકાર કોરોનાની મહામારીમાં લોક ડાઉન દરમિયાન બેરોજગાર થયેલા લોકો માટે આત્મનિર્ભર યોજના શરૂ કરી છે ત્યારે ગરીબોને અપાતા કેરોસીનમાં ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યા બાદ ગરીબોને અપાતા કેરોસીનમાં ભાવ વધારો આવતા ઉહાપોહ બોલી જવાની શકયતા ચોક્કસ વધી છે.