Mysamachar.in-વડોદરા
વડોદરામાં રહેતાં એક પતિ-પત્ની 40 વર્ષના લગ્નજીવનનો એક ભાંડો ફૂટ્યો. એવું જાણવા મળ્યું છે કે, તે વૃદ્ધા 60 વર્ષના છે અને 3 સંતાનની માતા છે. તેમનાં પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડાં સમય પહેલાં એવું બન્યું કે ધરની તિજોરીમાંથી તે વૃદ્ધાને એક કવર મળ્યું હતું. એ કવર ખોલતાં તેમાં પતિના પ્રેમપત્રો જોવા મળ્યા હતા. પ્રેમપત્રો વાંચીને તેઓ તે સમયે બેભાન થઈ ગયા હતા. 40 વર્ષનો લગ્નજીવનનો ગાળો હોવા છતાં પતિ બીજી કોઈ મહિલા સાથે સંબંધ ધરાવતો હોય તેવું તેમના માનવામાં આવ્યું ન હતું.
જેથી તેઓ આ આધાતના કારણે ડિપ્રેશનમાં પણ આવી ગયા હતા અને આત્મહત્યા કરવા તૈયાર થયા હતા. આ વૃદ્ધા મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે, ‘હું જીવનથી કંટાળી ગઈ છું અને આવું જીવન જીવવા કરતાં આત્મહત્યા કરવી સારી છે.’ તે વખતે અભયમે તેને ફોન પર સમજાવી હતી અને બીજી ટીમ તેની પાસે પહોંચી ગઈ હતી. જોકે 181 હેલ્પલાઇન અભયમની ટીમે વૃદ્ધાને શાંતિથી સમજાવી આપઘાતના વિચારો મનમાંથી કાઢી નાખવા સમજણ આપી હતી.
તેમજ રચનાત્મક પ્રવૃત્તિ કરીને તેમને સંતાનોની કાળજી લઈને સંતાનો સાથે સમય પસાર કરવા જણાવ્યું હતું. વૃદ્ધાના પતિ સાથે પણ અભયમની ટીમે વાતચીત કરતાં તેમણે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. પણ તે તેમની પત્ની અને બાળકોને કોઈ વાતની કમી આવવા નહીં દે તેમ જણાવીને પરિવારની કાળજી લેશે તેવી ખાતરી પણ આપી હતી. આ રીતે 40 વર્ષના લગ્નજીવન બાદ કબાટમાંથી પતિના પ્રેમપત્રો મળતાં પતિના પ્રેમ સબંધનો ભાંડો ફૂટ્યો ગયો હતો. આત્મહત્યા કરવા દોડી જનાર વૃદ્ધાને અભયમ દ્વારા બચાવી લેવાયા.