Mysamachar.in-જામનગર:
રોજ બરોજ આપણે અનુભવીએ છીએ કે પર્યાવરણમા ચિંતાજનક બદલાવ આવી રહ્યા છે, જમીન હવા, પાણી, અવાજ, પ્રકાશ ધુમાડા પ્રદુષિત થઇ રહ્યા હોય આરોગ્ય ઉપર સામાન્ય જ નહિ બલ્કે કેન્સર જેવા ગંભીર રોગ વધવા અને આયુષ્ય ઘટવા જેવી ચિંતાજનક સ્થિતિ પણ બનવા પામી રહી છે, એક માત્ર કચરો ગંદકી જ નહિ પરંતુ અનેક પ્રકારે વાતાવરણ બગડી રહ્યુ હોય હવે એલર્ટ નુ એલાર્મ કુદરતે વગાડ્યુ છે,
પ્રદુષણ નિયંત્રણ અને પર્યાવરણના જતનનો પ્રશ્ન આજે પ્રાણ પ્રશ્ન બની ગયો છે, ત્યારે જામનગર જિલ્લાના પ્રદુષણ નિયંત્રણ અંગેના વિવિધ આયોજનો અને તેના માટેની વ્યુહરચના ઘડવા માટે કલેક્ટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ જિલ્લા પ્રદુષણ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ, કન્સટ્રકશન અને ડીમોલીશન વેસ્ટ મેનેજમેન્ટ, પ્રદુષીત ઔદ્યોગિક વિસ્તારો, ધ્વની પ્રદુષણ, રેતી ખનન્ન, જળ સૃષ્ટિનું સંરક્ષણ, પ્રદુષીત નદીના પટ્ટ, ટ્ર્રીટેડ સીવેજનો ઉપયોગ, જળ સંસ્થાનું સંરક્ષણ વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અને તેના માટે વિભીન્ન સ્તર પરની થયેલ કાર્યવાહીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.અને કઈ રીતે જિલ્લાને કઈ રીતે વધુ હરિયાળો બનાવી શકાય તે માટે કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું,
આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીઅને નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, વૈજ્ઞાનિક અધિકારી પી.એસ.દવે, જિલ્લા વન સંરક્ષણ અધિકારી તથા જિલ્લાના સંલગ્ન કચેરીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.