Mysamachar.in-જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર હમણાં હમણાં અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેમ લાગે છે, હજુ બે દિવસ પૂર્વે જ જાંબુડા ગામ નજીક ત્રિપલ અકસ્માતમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યાં વધુ એક અકસ્માત આ જ હાઈવે પર ધ્રોલ નજીક સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયાનું સામે આવે છે, ધ્રોલ નજીક હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં સુરેન્દ્રનગરથી લૌકિક ક્રિયાથી કારમાં પરત આવતા મહિલાનુ માથામાં ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતુ જયારે ઘવાયેલા બાઇક ચાલકે પણ સારવારમાં દમ તોડયો હોવાનો બનાવ બહાર આવ્યો છે.
જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિરાના કારખાના પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર મહિલા ગીતાબા પ્રવિણસિંહનુ માથું ડેસ્કબોર્ડ સાથે અથડાતા હેમરેજ થતા બેશુધ્ધ અવસ્થામાં હોસ્પીટલ ખસેડાતા તબીબે મૃત ઘોષિત કર્યા હતા. જયારે બાઇક ચાલક ધ્રોલના અબ્દુલભાઇ હિંગોરજા(ઉ.વ.55)ને પણ ગંભીર ઇજા થતા સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડાતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. બનાવની જાણ થતા ઇન્ચાર્જ પીએસઆઇ મેઘરાજસિંહ વાળા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.