Mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો એ ઉદ્યોગોથી ધમધમતો જીલ્લો છે, અને ગઈકાલે જ અમે જેમ લખ્યું હતું તેમ આ પ્રકારના ઉદ્યોગોથી અનેક પ્રકારના લાભો અનેક પ્રકારના વિભાગોને અધિકારીઓ કર્મમચારીઓને મળતા હોય છે, તેમાં કામ ઝડપી કરવું ના કરવું વગેરે થી માંડીને ક્લોઝર નોટીસો આપવા સુધી બધું આવી જાય…ઉદ્યોગો પણ પોતાની શાખ બચાવવા અને મીડિયામાં બહુ હો હા ના થાય તે માટે આવા અધિકારીઓને માસિક કે વાર્ષિક સાચવી લેતા હોય છે,
જામનગર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીમાં પ્રાદેશિક અધિકારી પદે ફરજ બજાવતા કલાસ-વન અધિકારી ભાયાભાઇ ગીગાભાઇ સુત્રેજાને ગાંધીનગર ACBએ રૂ.5 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા બાદમાં તેના ગાંધીનગર સ્થિત રહેણાંક મકાનની ઝડતી લેવાતા પાંચ લાખથી વધુની રોકડ રકમ અને સોનાની 10-10 ગ્રામની બે લગડીઓ મળી આવી હતી. આ મુદ્દામાલ ACBએ કબ્જે કરી તેની સામે અપ્રમાણસર મિલકત મામલે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં વિશેષ તપાસના ભાગરૂપે ભાયાભાઇના ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા સેક્ટર 21માં આવેલા બે લોકરની ઝડતી કરી હતી. જેમાંથી 1.919 કિલોગ્રામ સોના-ચાંદીના દાગીના અને 55 લાખ રોકડા એમ બંને મળી ACBએ 1, 27,95,874 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગાંધીનગર સેક્ટર 21માં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં લોકર નં.21ની ઝડતી કરતા અલગ અલગ પ્રકારના સોનાના દાગીના 1314.450 (અંદાજિત 1.314 કિલો ગ્રામ)ની અંદાજિત કિંમત રૂ.48,76,596 તથા રોકડ રકમ 69,500 મળી આવી છે. જ્યારે લોકર નં. 331ની ઝડતી તપાસ કરતા અલગ અલગ પ્રકારના સોનાના દાગીના, સોનાની લગડી 605.990 ગ્રામ તથા ચાંદીના દાગીના 115 ગ્રામ અંદાજિત કિંમત 23,49,778 તથા રોકડ રકમ રૂ. 55,00,000 મળી આવ્યા છે. આમ બંને લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ 1,27,95,874 રૂપિયાનો થાય છે. આ મુદ્દમાલ ACBએ કબ્જે કરી આગળ તપાસ હાથ ધરી છે.