Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ચૂર ગામે તત્કાલીન સરપંચે વર્ષ 2016-17માં ગામમાં વિકાસ કાર્યો અંતર્ગત ગામમાં હકિકતમાં કામો ન થવા છતા કમ્પલીશન સર્ટીફીકેટ આપી લાગતા વળગતાને સતાનો દુરઉપયોગ કરી રૂ.1,89,400નુ ચુકવણુ કરી દિધાની ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ એસીબીમાં અરજી કરી હતી. જેના આધારે એસીબીએ તપાસ ચલાવતા ચૂર ગામના મહિલા સરપંચ સહિત બન્ને તત્કાલીન સરપંચે સતાનો દુરઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી હોય ગુન્હો દાખલ થયો હતો જેમાં એક તત્કાલીન મહિલા સરપંચ, એક પુરુષ સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેરની ધરપકડો એસીબીએ કર્યા બાદ આજે આ પ્રકરણમાં વધુ એક તત્કાલીન તલાટીમંત્રીની ધરપકડ કરી છે, અને આગામી દિવસોમાં વધુ કેટલાક પર આ તપાસનો ગાળિયો કસાઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે,
જામજોધપુર તાલુકાના ચુર ગ્રામપંચાયતે વર્ષ 2016-17માં સરકારની જુદી-જુદી યોજનાઓ હેઠળ ગામમાં રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમાં પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઇ રાઠોડ અને નિતેશસિહં ગંભીરસિંહ જાડેજાએ જવાબદાર અધિકારીની સ્થળ તપાસ વગર જ કમ્પલીશન સર્ટીફીકેટ આપી દિધું હતું.તેમજ આર્થિક લાભ મેળવવા માટે સબંધીતોના નામના વાઉચર બનાવી કામ થયુ ન હોવા છતા કાગળ પર કામ દર્શાવી રૂ.1,89,400 ચુકવણું પણ કરી દિધું હતું. સ્થળ પર કામ થયું ન હોવા છતા ખોટા દસ્તાવેજો ઉભા કરી વાઉચર દ્વારા રૂ.1,89,400 નુ ગેરકાયદેસર ચુકવણુ કરી દિધું છે.
એસબીએ ઉપરોક્ત બન્ને તત્કાલીન સરપંચો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ જામનગર જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગના તત્કાલીન અધિક મદદનીશ ઈજનેર દર્શન પરમારની પણ આ ગુન્હામાં ધરપકડ કર્યા બાદ આજે આ જ કૌભાંડમાં વધુ એક ધરપકડ થઇ છે, જેમાં તત્કાલીન તલાટી મંત્રી રવજીભાઈ મનસુખભાઈ ધારેવાડીયાની આજે એસીબી એ ધરપકડ કરી છે, તત્કાલીન તલાટીમંત્રીએ ગામમાં કામો ના થયા હોવાનું જાણવા છતાં તમામ વાઉચર અને બિલો ખોટા હોવા છતા સાચા તરીકે ઉપયોગ કરી પાણીનો ટાંકો અને પાઈપ લાઈન ન બનેલ હોવા છતાં મંજૂર કરેલ હોવાનો રોલ પ્રસ્થાપિત થતા એસીબીએ તેની પણ ધરપકડ કરતા આ કૌભાંડમાં અત્યારસુધી કુલ ચાર લોકોની ધરપકડ બાદ હજુ પણ કેટલાકની ધરપકડ થઇ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.