કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના જીવ ગયા
અરવલ્લીના ધનસુરા નજીક આજે બની ઘટના

Mysamachar.in:અરવલ્લી
રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે, એવામાં આજે એક અકસ્માત અરવલ્લીમાં જીલ્લામાં સામે આવ્યો છે, આજે દિવાળીના દિવસે બનેલી આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અરવલ્લીમાં ધનસુરાના રહીયોલ નજીક આજે સવારે એક કાર અને ટેમ્પા વચ્ચ એક લોહિયાળ અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને તેમણે ઘાયલ લોકોને મદદ કરી હતી. ઘાયલોને સારવાર માટે મોડાસા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી.
ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જેમાં સ્થાનિક લોકોએ કારમાં લોકો પાસેથી મળેલા ત્રણ મોબાઈલ ફોન અને 50 હજાર રોકડા પોલીસને આપ્યા છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.