Mysamachar.in-જામનગર:
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં વીજક્ષેત્રને આકર્ષક, અસરકારક અને સ્માર્ટ બનાવવા તરફ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આ સંદર્ભે જામનગર શહેર અને જિલ્લામાં શું નવું થશે ? અને, હાલમાં શું ચાલી રહ્યું છે ? તે અત્રે જોઈએ. કેન્દ્ર સરકારનું વીજ મંત્રાલય વીજક્ષેત્રની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધારવાનાં ભાગરૂપે નવી યોજના દાખલ કરી રહી છે. જે અંતર્ગત વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજમીટર લગાડવામાં આવશે. હાલમાં તમારાં ઘર કે ઓફિસમાં રહેલું મીટર તંત્ર લઈ જશે, તેની જગ્યાએ તેઓ નવું સ્માર્ટમીટર લગાડશે. ગ્રાહકોએ આ પ્રક્રિયામાં એક પણ પૈસો આપવાનો નથી. અમુક ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને અમુક ટકા સબસિડીનો ખર્ચ કેન્દ્ર સરકાર અથવા વીજવિતરણ કંપની ભોગવશે. આ મીટર પ્રિ-પેઈડ હશે. ગ્રાહકે મોબાઈલ માફક બેલેન્સ જમા કરાવવાની રહેશે. સ્વાભાવિક રીતે જ, બેલેન્સ નહીં હોય તેવાં કિસ્સાઓમાં અંધારૂં….
આ યોજનાથી વીજચોરી અટકશે, વીજવિતરણ કંપની પીજીવીસીએલનો નફો વધશે. ગ્રાહકો પણ કરકસર કરવા પ્રેરાય એવું બની શકે. કંપનીને પોતાની વીજળીની પૂરી કિંમત પ્રાપ્ત થશે. વેડફાટ અટકશે. વીજબિલ આપવા જવાની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા બંધ થશે.
હાલમાં જો કે, આ યોજના જિલ્લામથકોએ જ શરૂ થશે. હાલારમાં જામનગર અને ખંભાળિયા શહેરમાં આ યોજના અમલી બનાવવામાં આવશે. આ યોજનાનો પ્રથમ તબક્કો આમ તો, ડિસેમ્બર-2022 માં પૂર્ણ કરવા અંગે કેન્દ્ર અને રાજ્યની સરકારે સૂચના આપી હતી. પરંતુ પીજીવીસીએલની રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસ આ યોજના અંતર્ગત હજુ ટેન્ડર પ્રક્રિયામાં વ્યસ્ત છે. ત્રણેક મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થતાં અમલીકરણ એજન્સી નક્કી થશે જે જામનગર અને ખંભાળિયા જિલ્લામાં કામગીરી શરૂ કરશે, એમ જામનગર વીજતંત્રના વડા-અધિક્ષક ઈજનેર કે.આર. પરીખે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યંર છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ નામ આપવામાં આવ્યું છે. અગાઉની SKADA(ભૂગર્ભ વીજકેબલ) યોજનાને પણ આ નવી યોજનામાં મર્જ કરવામાં આવી છે.
અધિક્ષક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દરિયાકિનારાથી 10 કિમી ની મર્યાદામાં આવેલાં તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજવાયરોને ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. જેથી ભેજ, કાટ વગેરે બાબતોથી વીજવાયરો બચી શકે અને વીજવિતરણ વ્યવસ્થા વધુ સારી બનાવી શકાય, ફોલ્ટ ઘટાડી શકાય. કેન્દ્ર સરકારની સ્માર્ટ મીટરની યોજનાને આગળ ધપાવવા માટે જામનગરમાં કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. જેનું નામ જિલ્લા વીજળી સમિતિ છે. આ સમિતિમાં સાંસદ અને ધારાસભ્યો તેમજ વીજતંત્રનાં અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર ત્રણ મહિને આ સમિતિની બેઠક યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કામગીરીની સમીક્ષા થશે. આ સમિતિ પ્રોજેક્ટની રચનાથી માંડીને અમલીકરણ સુધીની બધી જ બાબતો પર નિયમિત દેખરેખ રાખશે.
-તો વીજગ્રાહકો આ નવાં સ્માર્ટ વીજમીટરને વેલકમ કહેવા તૈયાર રહો.