Mysamachar.in-જામનગર
થોડા દિવસો પૂર્વે લાલપુર બાયપાસ ચોકડી પાસેથી યુવાનના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી લીધાની ઘટનામાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ તેજ કરતા આ ઘટનામાં મૂળ જામનગરનો અને હાલ રાજકોટમાં રહેતા શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા તસ્કરે જામનગર અને રાજકોટમાંથી 30 ચોરી કર્યાની કબુલાત પણ આપી હતી,
જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને મુળ મકાજી મેઘપર ગામનો વતની જયપાલસિંહ જાડેજા નામનો 22 વર્ષનો યુવાન લાલપુર બાયપાસ ચોકડી નજીક કર્મચારીનગરના દરવાજા પાસે ઉભો હતો અને પોતાના હાથમાં મોબાઇલ રાખીને નંબર શોધી રહ્યો હતો જે દરમિયાન કોઇ અજ્ઞાત બાઈક ચાલક શખ્સ મોઢે માસ્ક બાંધીને આવ્યો હતો, અને તેના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને ભાગી છુટયો હતો.
આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઈ જતા પોલીસે ત્રીસેક વર્ષની વયના અજ્ઞાત બાઈક ચાલક શખ્સને સીસીટીવી કેમેરાની મદદથી શોધવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પોલીસે રણજીતસાગર રોડ પરથી વર્ણનના આધારે મૂળ જામનગર તાલુકાના નારણપર ગામનો વતની અને હાલ રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા જીતુ જેરામભાઈ શેખા નામના શખ્સને પકડી પાડયો છે અને તેના કબ્જામાંથી લૂંટેલો મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. પોલીસે તેની પાસે રહેલાં બાઇકના કાગળો માંગતા તે પણ ચોરીનું બાઈક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેણે સંતાડેલું વધુ એક મોટરસાઈકલ પણ કાઢી આપ્યું હતું.
જે પૈકીનું એક બાઈક રાજકોટમાં માધાપર ચોકડી પાસેથી ચોરી લીધું છે જ્યારે જામનગરમાં ખંભાળિયા ગેઈટ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે જામનગર અને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાંથી 30 જેટલા ચોરી અને લૂંટના ગુના આચર્યાની કબુલાત આપી છે. આ કાર્યવાહી પંચ બી પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, કરણસિંહ જાડેજા, પદુભા જાડેજા, દિગુભા જાડેજા, સુરેશ ડાંગર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.