Mysamachar.in-જામનગર
પોલીસની ક્યારેક વરવી દાદાગીરી પણ સામે આવતી હોય છે, ત્યારે અમુક લોકો મૂંગા રહે તો અમુક આવી દાદાગીરી સામે ન્યાયાલયો સુધી જઈને ન્યાયની ગુહાર પણ લગાવતા હોય છે, આવા જ એક કિસ્સામાં કોર્ટે તપાસના અંતે 3 PSI સહિતનાઓ સામે ગુન્હો નોંધવાનો હુકમ કરતા જામનગર પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે, વાત કઈક એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડના એક યુવાનને પોલીસ મથકમાં લઈ જઈ માર મારી ઇલેક્ટ્રિક શૉક આપવા અંગે તેમજ તેના પરિવારને પણ માર મારી 50 હજાર રૂપિયાની માગણી કરવા અંગેના ચકચારી પ્રકરણમાં જામનગરની અદાલતે પુરાવાઓ એકત્ર કર્યા પછી 3 PSI સહિત 12 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધતાં પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. જેમાં એક નિવૃત્ત પોલીસ કર્મચારી ગુજસીટોકના આરોપી પણ સમાવેશ થાય છે,
કાલાવડ પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામના એક વ્યક્તિને ગત 12.9.2015 ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન તેણે જુદા-જુદા બાર પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને 10.9.2015 ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. વીંછી, પીએસઆઈ બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરે દોઢ વાગ્યે તેના ઘરેથી જગાડી પત્ની તથા માતા-પિતાની હાજરીમાં ગાળો કાઢી મારફૂટ કરી હતી, અને 50 હજાર રૂપિયાની માગણી કરી હતી
આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઇ જઇ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસના પીએસઆઇ ચૌધરી, અને સ્ટાફને સોંપી આપ્યો હતો. ત્યાંથી પંચકોશી એ ડિવિઝનમાં લાવી અને પોલીસ સ્ટેશનમાં 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે રૂપિયા આપવાની ના પાડતા પીએસઆઇ ચૌધરીની ચેમ્બરમાં અફઝલના બંને હાથ પાછળ હાથકડીથી બાંધી ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવ્યા હતા. અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગુપ્તભાગમાં પણ ઈલેક્ટ્રીક શૉક આપ્યા હતા.
આ અંગેની મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ પરથી જામનગરની અદાલત દ્વારા ફરિયાદીનું હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ફરિયાદીની ફરિયાદ પરથી કોર્ટ ઇન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે ઇન્કવાયરીના કામે ફરિયાદી અફઝલભાઈ તેના પિતા તૈયબભાઈ, પત્ની શકીનાબેન, માતા રહેમતબેન તેમજ જીજી હોસ્પિટલનાં તબીબ વગેરેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે નિવેદનો પછી અને ફરિયાદીની ફરિયાદમાં કાલાવડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બાટવા, પોલીસ કોસ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ, પોલીસ કર્મચારી અશોકભાઈ, કાલાવડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વીંછી, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઇ, પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી દિગુભા, ડ્રાઇવર જાનીભાઈ, પીએસઆઇ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાઇટર ભીખાભાઈ તથા હાલ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા નિવૃત પોલીસ કર્મચારી વશરામ આહીર વગેરે સામે આઇપીસી કલમ 323,330,384,504, અને 114 મુજબના ગુના સબબનો કેસ નોંધવાનો હુકમ કોર્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં ફરિયાદી તરફે વકીલ નિખીલ બુઘભટ્ટી રોકાયા છે.