Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં ચૂંટણી પ્રક્રિયા ઝડપભેર આગળ વધી રહી છે. જામનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં 89 વિધાનસભા બેઠક પર પહેલી ડિસેમ્બરે મતદાન થવાનું હોય, આજે પાંચમી નવેમ્બરે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યનાં ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા જાહેર કરવામાં આવી છે. આ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 40 લાખ કરવામાં આવી છે. કેટલાંક રાજ્યોમાં અગાઉની ચૂંટણીઓમાં આ મર્યાદા 20 લાખની હતી, કેટલાંક મોટાં રાજ્યોમાં આ મર્યાદા રૂ. 28 લાખની હતી. જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભાનાં પ્રત્યેક ઉમેદવાર રૂ.40 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે. આ માટે ઉમેદવારે બેંકમાં એક અલગથી ખાતું ખોલાવવાનું રહેશે અને રૂ.10,000 થી વધુ રકમનાં ખર્ચનું ચૂકવણું ઉમેદવારોએ ચેકથી જ કરવાનું રહેશે. રોકડા તથા ચેકથી વધુમાં વધુ કુલ રૂ.40 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકાશે. મોંઘવારી વધતાં સમય અનુસાર, ચૂંટણી ખર્ચની મર્યાદા દરેક ચૂંટણી વખતે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. મોટાં અને નાનાં રાજ્યો માટે આ મર્યાદા અલગ અલગ રાખવામાં આવે છે.